જામખંભાળિયામાં જાહેર માર્ગો પર રખડતાં 117 ૫શુઓને ગૌશાળામાં લઇ જવાયા
04-04-2025

એક મહિનાથી ચાલતી ઢોર પક્કડ ઝુંબેશ
ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા નધણીયાતા ઢોરનો ત્રાસ અસહ્ય બની રહ્યો હતો, ત્યારે આ પ્રશ્ને એક મહિનાથી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી આવા ઢોરને ડબ્બે પુરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં આશરે સવાસો જેટલા ઢોરને પકડી પાડવામાં આવ્યા છે.
અનેક લોકોને ઢીંકે ચડાવવા સાથે જીવલેણ બનેલા નધણીયાતા પશુઓને પકડીને ગૌશાળામાં મોકલી દેવાતા રાહદારીઓને થોડી રાહત
ખંભાળિયાના જાહેર માર્ગો પર ગાય, બળદ વિગેરે જેવા માલિકીના તેમજ નધણીયાતા ઢોરની સંખ્યા તેમજ ત્રાસ દિવસે દિવસે વધતા આવા ઢોરની ઢીંકનો ભોગ અનેક વાહન ચાલકો તેમજ રાહદારીઓ બની ચૂક્યા છે. આવા ઢોરની ઢીંકથી અનેક નાના મોટા અકસ્માતો સર્જતા આ ગંભીર મુદ્દે અહીંના જિલ્લા કલેક્ટર તેમજ એસ.ડી.એમ. દ્વારા આપવામાં આવેલી સૂચનાને અનુલક્ષીને નગરપાલિકા તંત્ર દ્વારા ઢોર પકડવાની સધન ઝુંબેશ આદરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં પાલિકાના | સેનીટેશન સ્ટાફ દ્વારા છેલ્લા આશરે એક માસના સમયગાળા દરમિયાન જુદા જુદા વિસ્તારમાંથી રસ્તે રઝળતા આશરે ૧૧૭જેટલા ઢોરોને પકડી પાડી અત્રે શક્તિનગર વિસ્તારમાં આવેલી દ્વારકાધીશ ગૌશાળા તેમજ હાપીવાડી વિસ્તારમાં આવેલી એકલવ્ય ગૌશાળામાં મોકલી દેવામાં આવ્યા છે. જેથી નગરજનોએ રાહતનો દમ ખેંચ્યો છે.