નારી નજીક પૂરના પાણી વચ્ચેથી 400 ગાયને બચાવી લેવાઈ
5 કલાક પહેલા

બિમાર,અશક્ત,અપંગ,અંધ એવી 25 ગાયને સારવાર અપાઈ
ભાવનગર જિલ્લામાં પડેલાં ભારે વરસાદના કારણે ચોતરફ પાણી ફરી વળ્યા છે ત્યારે નારી ગામ નજીક ભરાયેલાં વરસાદી પાણીમાં ફસાયેલી ૪૦૦ ગાયને અગીયાળીની હોસ્પિટલના સ્ટાફ સહિતના જીવદયા પ્રેમીઓએ રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડી હતી.
પ્રેરણા ફાઉન્ડેશનની તબીબી ટીમ તથા ૬૦ જીવદયા પ્રેમીઓએ ૧૨ વાહનો મારફતે રેસ્કયુ કરી ગાયોને સલામત સ્થળે ખસેડી
અગીયાળીમાં આવેલી પ્રેરેણા ફાઉન્ડેશન પ્રેરિત જીવદયા હોસ્પિટલને વહેલી સવારે ફોનથી વિગત મળતાં ભાવનગરના નારી ગામ નજીક આવેલી સૌરભ ગૌશાળા તથા તેની આસપાસના વિસ્તારમાં પૂરમાં ફસાયેલી અંદાજિત ૪૦૦ ગાયોનું રેસ્કયુ હાથ ધર્યું હતું.
જેમાં હોસ્પિટલની ટીમ ઉપરાંત ૬૦ જીવદયા પ્રેમીઓ બચાવ કાર્યમાં જોડાયા હતા. ૧૨ વાહનો તથા તબીબી ટીમ સાથે કલાકો સુધી ચાલેલાં આ રેસ્કયુમાં ૨૫થી વધુ બિમાર અશક્ત, અપંગ અને અંધ ગાય સહિત તમામ ૪૦૦ ગાયને સલામત સ્થળે ખસેડવામાં આવી હતી.