ધુંવાવ પાસે ગૌશાળામાં આગ લાગતા કડબનો જથ્થો બળીને ખાખ
04-02-2025

ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ આગ બુઝાવી
જામનગર નજીક ધુવાવ પાસે આવેલી ક્રિષ્ના ગૌશાળામાં રાખવામાં આવેલા કડબના જથ્થામાં રાત્રિના સમયે અકસ્માતે આગ લાગી હતી, અને ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
અજ્ઞાત શખ્સોએ આગ લગાડયાનો ગૌશાળાના સંચાલકો દ્વારા આક્ષેપ : પોલીસ તંત્ર દોડતું થયું
ગૌશાળા ના સંચાલકો દ્વારા જણાવાયા અનુસાર રાત્રિના ૧૨.૦૦ વાગ્યે ગૌશાળાનો દરવાજો બંધ કરાયો હતો, પરંતુ રાત્રિના સમયે કોઈપણ રીતે દરવાજા ખુલ્લા પડેલા હતા, અને ઘાસનો જથ્થો સળગી ઊઠયો હતો. જેથી કોઈ આજ્ઞાત શખ્સોએ આગ ચાંપી દીધી હોય તેવો આક્ષેપ કરાયો હતો. જે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.
ગૌશાળામાં અગાઉ સીસીટીવી કેમેરા વગેરે હતા, પરંતુ થોડા સમય પહેલા ગૌશાળામાં પાણી ભરાવાના સમય ગાળા દરમિયાન તેના કેમેરાઓ બંધ થયા હતા. જેથી આજે ફરીથી નવા સીસીટીવી કેમેરા લગાવીને ચાલુ કરી દેવાયા છે.
માત્ર બે દિવસ પહેલા જ ઘાસનો જથ્થો મંગાવાયો હતો, અને રખાયો હતો. જે સળગી ઉઠ્યો છે. જો કે થોડે દૂર રખાયેલો બીજો કડબનો ભુકકો કે જે બચી ગયો હતો. અને તેના આધારે ગૌશાળામાં રહેલી ૯૦ જેટલી ગાયોનો નિભાવ થઈ રહ્યો છે.