રાજુલા પાસે માલગાડીને ઈમર્જન્સી બ્રેક લગાવી ટ્રેક ઓળંગતા સિંહને બચાવાયો
14-05-2025

ભાવનગર રેલવે ડિવિઝનમાં લોકો પાયલટની સરાહનીય કામગીરી
ભાવનગર રેલવે ડિવિઝનમાં રાજુલા નજીક લોકો પાયલટે માલગાડીને ઈમર્જન્સી બ્રેક લગાવીને ટ્રેક ઓળંગતા સિંહને બચાવ્યો હતો. આ અંગેની વિગત આપતા ભાવનગરના સિનિયર ડીસીએમ અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, આજે રાજુલા નજીક કિ.મી. નં. ૦૩/૧૪-૦૩/૧૫ ની વચ્ચે એક સિંહ રેલવે ટ્રેક ઓળંગતો જોવા મળ્યો હતો.
ફોરેસ્ટ ટ્રેકર દ્વારા ટ્રેક ક્લિયર કરાવાયા બાદ ટ્રેનને કાળજીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ લઈ જવાઈ
જેના પગલે લોકો પાયલટ આશિષભાઈ મકવાણા અને સહાયક લોકો પાયલટસતીશકુમાર ગુર્જર (બન્ને મુખ્ય મથક-બોટાદ) દ્વારા માલગાડીને તાત્કાલિક ઈમરજન્સી બ્રેક લગાવીને અટકાવી દેવામાં આવી હતી. રાજુલા જંકશનથી લોકો પાઈલટ્સને સિંહોની હિલચાલ અંગે ચેતવણીના આદેશો આપવામાં આવ્યા હતા. આથી લોકો પાઇલટે ટ્રેન મેનેજર (ગાર્ડ)ને જાણ કરી હતી. દરમિયાનમાં, ફોરેસ્ટ ટ્રેકર દ્વારા ટ્રેક ક્લિયર કરાવાયો હતો. જ્યારે બધી સ્થિતિ સામાન્ય થયા બાદ લોકો પાઇલટ દ્વારા ટ્રેનને કાળજીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ લઈ જવાઈ હતી.