સુરતમાં મ્યુનિ.ની વેસુ સ્થિત શાકમાર્કેટમાં પ્રાકૃતિક ખેતબજાર ખૂલ્લુ મુકાશે
06-04-2025

કુદરતી રીતે પકવેલા અનાજ, શાકભાજી, ફળોનું વેચાણ થશે
સુરત મ્યુનિ. ની વેસુ ખાતે આવેલી શાકભાજી માર્કેટમાં આગામી સોમવારથી પ્રાકૃતિક ખેત બજાર ખુલ્લુ મુકાશે. જયાં સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોના ઉચ્ચ ગુણવતાવાળા અને કમિકલ મુકત શાકભાજી, ફળો, કઠોર અને અનાજ શહેરીજનોને મળી રહેશે. આ માર્કેટ રવિ અને બુધવાર એમ બે દિવસ વેચાણ માટે ખુલ્લી રહેશે.
સપ્તાહમાં બે દિવસ બુધ અને રવિવારે કુદરતી રીતે પકવેલા અનાજ, શાકભાજી, ફળોનું વેચાણ થશે
સુરત જિલ્લાના ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે ત્યારે ખેતરોમાં જે ઉત્પાદન થાય છે તેનુ ઘરઆંગણે જ વેચાણ થાય તે માટે સુરત મહાનગર પાલિકા અને સુરત જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે વેસુ એસ.ડી જૈન સ્કુલની પાછળ પાલિકા હસ્તકની શાકભાજી માર્કેટમાં પ્રાકૃતિક કૃષિ બજાર સ્થાપિત કરાયુ છે.
અત્રે સુરત જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં પ્રાકૃતિક ખેતી કરતા ૭૦ થી વધુ ખેડુતો અંહી દર બુધવાર અને રવિવારે કુદરતી રીતે ઉત્પાદિત ખેત પેદાશોનું વેચાણ કરશે. આગામી સાતમી એપ્રિલના રોજ રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પ્રાકૃતિક ખેતી બજાર ખુલ્લુ મુકવામાં આવશે.
મ્યુનિ. પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને લઘુત્તમ ભાડા પર જગ્યા ફાળવવા ઠરાવ કર્યો છે
વેસુ ખાતે પાલિકાએ રૂા.૪૧.૫૬ લાખના ખર્ચે ૧૧૦૬ ચો.મી માં શાક માર્કેટ બનાવી છે. જાન્યુઆરી ૨૦૨૫ માં પાલિકાએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને પ્રોત્સાહન આપવા માટે એક ખાસ ઠરાવ કરીને સુરત જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને તેનો ઉપયોગ કરી શકે તે માટે લઘુતમ ભાડા પર જગ્યા ફાળવવાનું નક્કી કર્યુ હતુ.