ચોખાનો વિપુલ માલભરાવો જ્યારે ઘઉંનો સ્ટોક ચિંતાજનક નીચા સ્તરે
12-01-2025

સરકારની અનિશ્ચિત વેપાર નીતિને કારણે સ્ટોક્સની સ્થિતિ પણ ડામાડોળ
ભારતના બે મુખ્ય પાકો ઘઉં તથા ચોખાના સ્ટોકસની બાબતમાં વિરોધાભાષી સ્થિતિ જોવા મળી રહી છે. સરકાર પાસે ઘઉંનો સ્ટોક ઘટી રહ્યો છે જ્યારે ચોખાના સ્ટોકમાં નોંધપાત્ર વધારો થયાનું ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એફસીઆઈ)ના ડેટા જણાવે છે.
સરકારની અનિશ્ચિત વેપાર નીતિને કારણે સ્ટોક્સની સ્થિતિ પણ ડામાડોળ
વર્તમાન વર્ષના પ્રારંભમાં સરકારી કોઠારોમાં ચોખાનો સ્ટોક ૬.૦૯ કરોડ ટન રહ્યો હતો જે સરકારના ૭૬ લાખ ટનના ટાર્ગેટ કરતા ઘણો વધુ છે. બીજી બાજુ ઘઉંનો સ્ટોક ૧લી જાન્યુઆરીના રોજ ૧.૮૪ કરોડ ટન રહ્યો હતો જે સરકારના ૧.૩૮ કરોડ ટનના ટાર્ગેટ કરતા ઘણો ઓછો છે. અનિશ્વિત વેપાર નીતિ ખાસ કરીને નિકાસ ધોરણોમાં ફેરબદલને કારણે આ સ્થિતિ જોવા મળી રહી હોવાનું બજારના વર્તુળો માની રહ્યા છે.
બજારમાં ઘઉંની અછતને કારણે મિલરો તથા ટ્રેડરો સરકાર દ્વારા ઘઉંના વેચાણમાં વધારો થાય તેમ ઈચ્છી રહ્યા છે જ્યારે ચોખાના નિકાસકારો ચોખાની નિકાસ વધારવાની શક્યતા તપાસશે. ચોખાનો સ્ટોક હાલમાં ચિંતાજનક ઊંચી સપાટીએ છે, એમ એક નિકાસકારે જણાવ્યું હતું. સરકારી એજન્સીઓ દ્વારા ડાંગરની ખરીદી હજુપણ ચાલુ છે જેને પરિણામે સ્થિતિ વધુ બગડી શકે છે, એમ એફસીઆઈના એક હોદ્દેદારે જણાવ્યું હતું. ચોખાની નિકાસ પરના મોટાભાગના અંકૂશો દૂર કરાયા બાદ નિકાસમાં ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો હોવાનું અન્ય એક નિકાસકારે જણાવ્યું હતું.