ભાયાવદરમાં જીરૂનાં વાવેતર સાથે અજમો વાવી વધારાની આવક મેળવી
19-02-2025

ખેતીવાડીમાં નવો અભિગમ અપનાવ્યો
ઉપલેટા પંથકમાં જીરાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં દર વર્ષે થાય છે. તેમાં જીરાની સાથે-સાથે પાળા ઉપર અજમાનું વાવેતર કરી વધારાની ઉપજ લઈ શકાય તેવું ભાયાવદરના સતવારા બંધુઓએ ફલિત કરી ખેડૂતોને નવો રાહ ચિંધ્યો છે.
૫૦ વીઘામાં જીરૂના વાવેતર સાથોસાથ વધારાની જગ્યામાં અજમો વાવતાં ફાયદો થયો
ભાયાવદર પંથકમાં જલારામ ચાના કિટલા તરીકે પ્રખ્યાત અને અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલ ડાયાબાપા સતવારા પરિવારની ત્રીજી પેઢીએ પ્રગતિશિલ ખેડૂતના દિકરા હરેશભાઈ સતવારા અને મિતેષભાઈ સતવારા દ્વારા ૫૦ વિધાના જીરૂના વાવેતરમાં વધારાની જગ્યા એટલે કપાસના પારા પર અજમાનું વાવેતર કરતા તેમાં જોરદાર સફળતા મળેલ છે. બંધુઓને જીરાની આવકની સાથે સાથે વધારાની અજમાની આવક થશે.
તેમાં કોઈ ખર્ચ થયેલ નહીં. આમ સતવારા બંધુએ ખેડૂતોને સંદેશો આપેલ કે જયારે જીરૂ વાવો ત્યારે તેના પારા ઉપરના વધારાની એક જગ્યામાં અજમાનું વાવેતર કરવામાં આવે તો તે પાક ખુબ સારી રીતે અને વગર ખર્ચે તૈયાર થાય છે. ખેડૂતોને જીરાની સાથે અજમાનો પાક પણ લઇ શકે છે હાલ ભાયાવદરના અરણી રોડ ઉપર આવેલ વાડીમાં આજે આ પાક ઉભો છે.