મગફળી કૌભાંડમાં કાર્યવાહી માટે સૂચના આપ્યાનો કૃષિ મંત્રીનો દાવો
23-12-2024

જૂનાગઢમાં અધિકારી- પદાધિકારીઓ સાથે યોજી બેઠક
આજે કૃષિ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી રાઘવજી પટેલ જૂનાગઢ આવ્યા હતા. તંત્રના અધિકારીઓ તથા ભાજપના હોદ્દેદારો સાથે તેમણે બેઠક યોજી હતી તથા જૂનાગઢ જિલ્લામાં મગફળીના ચકચારી કાંડ મુદ્દે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાનો દાવો કર્યો હતો.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી નજીક આવતાં પ્રજાનાં કામ સરકારને યાદ આવ્યા, ખાતમુહૂર્તોની તૈયારી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા, સરકારને બાકી રહી ગયેલા પ્રજાના કામ યાદ આવી રહ્યા છે. વહિવટી પ્રક્રિયાના કારણે જે કામ બાકી હોય તે તાત્કાલીક પુરા કરવા માટે કૃષિ મંત્રી અને જીલ્લાના પ્રભારી મંત્રીએ તંત્રના ઉચ્ચ અધિકારીઓને સુચના આપી છે. પ્રજાજનોને સ્પર્શતા રસ્તા, ગટર, પાણી સહિતના પ્રશ્નો અંગે કોઈપણ કારણસર કામગીરી અટકવી ન જોઈએ તેવી પણ સુચના આપી છે.
જૂનાગઢ જીલ્લાની અનેક જગ્યાએ ટેકાના ભાવે ચાલતી મગફળીની ખરીદીમાં ગેરરીતિ થતી હોવાના જવાબમાં કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, મને આ અંગેની સમાચાર માધ્યમો થકી જાણ થઈ છે, મગફળી કાંડમાં જે કોઈ સંડોવાયેલા હશે તેના પર કડક કાર્યવાહી કરવા માટે સુચના આપી દેવામાં આવી છે, ગુજરાતની નોડલ એજન્સી ગુજકોમાસોલને પણ સુચના આપી છે કે જ્યાં ગેરરીતિ થતી હોય તેવા કેન્દ્રને તાત્કાલીક બંધ કરાવી દેવા.