રાજકોટ, જામનગર, ભૂજ,કેશોદ સહિત સૌરાષ્ટ્રનાં એરપોર્ટમાં હવાઈસેવા બંધ
08-05-2025

આતંકવાદીઓના કેમ્પો પર ભારતની એર સ્ટ્રાઈકના પગલે સલામતીનાં પગલાં
પહલગામમાં આતંકવાદીઓએ ૨૯ નિર્દોષ પ્રવાસીઓને બેરહમીથી ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતાર્યાના જવાબ રૂપે ભારતે પાકિસ્તાનમાં અને પાક.કબજાગ્રસ્ત જમ્મુ-કાશ્મીરમાં આવેલા આતંકવાદીઓના કેમ્પો પરગત રાત્રિના એર કરી હતી જે અન્વયે સજર્જાયેલ સ્થિતિમાં સલામતિના ભાગ રૂપે પાકિસ્તાન સરહદ નજીક આવેલા સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, ભૂજ અને કેશોદ, પોરબંદર વગેરે તમામએ એરપોર્ટને ફ્લાઈટની અવરજવર માટે ત્રણ દિવસ બંધ કરાયેલ છે.
રાજકોટના જિલ્લા વહીવટી સૂત્રો અનુસાર રાજકોટ એરપોર્ટની તમામ સેવાઓ તા.૭,૮ અને તા.૯ મે એ ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે અને આજની તા.૭ની તમામ સિવિલ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જ્યારે રાજકોટનું હીરાસર એરપોર્ટ તમામ પ્રકારની મેલિટરી સેવાઓ માટે ૨૪ કલાક, રાઉન્ડ ધ ક્લોક ખુલ્લૂ રહેશે. રાજકોટથી મુંબઈ, દિલ્હી વર્ગરે સ્થળે જતી ડોમેસ્ટીક ફ્લાઈટ ત્રણ દિવસ સુધી અવરજવર સંપૂર્ણ બંધ રહેશે. યાત્રિકોએ આ ત્રણ દિવસનું બૂકીંગ કરાવ્યું હશે તે ટિકીટો રદ થશે.
ઉત્તર ભારતના શ્રીનગર, જમ્મુ જેસલમેર સહિત એરપોર્ટ પણ બંધ કરાયાં, ટિકિટો કેન્સલ થઈ
જામનગરનું એરપોર્ટ પણ ત્રણ દિવસ માટે સિવિલ ફ્લાઈટ્સ માટે બંધ કરી દેવાયેલ છે, જિલ્લા પોલીસ વડાના આદેશ અન્વયે એરપોર્ટમાં સઘન વાહન ચેકીંગ કરીને વાહનચાલકોની પુછપરછ કરવામાં આવી હતી. જામનગરથી મુંબઈ જતી-આવતી ફ્લાઈટ ત્રણ દિવસ માટે મોકુફ રહેશે અને ટિકીટો કેન્સલ કરી દેવાઈ છે. જુનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટ પર પણ આગામી તા.૧૦ સુધી ફલાઇટ બંધ રાખવા સુચના આપવામાં આવી છે. એકાંતરા આવતી ફલાઈટનું બુકીંગ બંધ કરી દેવામાં આવ્યું છે. આગામી આદેશ બાદ એરપોર્ટ પર ફલાઈટ શરૂ થશે.કેશોદ એરપોર્ટ ઉપર હાલ મંગળ, ગુરુ અને શનિવાર એમ ત્રણ દિવસ અમદાવાદ-કેશોદ-દિવ ફ્લાઈટ અવરજવર કરે છે. જેનું બૂકીંગ રદ કરાયું છે અને આગળ ખુલ્લુ રાખવા સૂચના મળ્યા બાદ જ શરુ કરાશે.
આ ઉપરાંત પ્રાપ્ત વિગત અનુસાર ઉત્તર ભારતમાં ચંદીગઢ, અમૃતસર, જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, જેસલમેર, સીમલા, સહિત ૧૬ એરપોર્ટ પરથી ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ સેવા સ્થગિત કરાઈ છે. સૌરાષ્ટ્ર પણ ભારત-પાકિસ્તાન સરહદની નજીક આવેલો ગુજરાતનો પ્રદેશ છે અને આતંકવાદી કૃત્યોના કારણે સર્જાયેલી તણાવની સ્થિતિ વચ્ચે હજારો હવાઈયાત્રિકોએ હાલ ત્રણ દિવસ અન્ય માર્ગેથી નિયત સ્થળે જવાનું રહેશે.
સૌરાષ્ટ્રનાં ૪ એ૨પોર્ટ ૫૨થી રોજ સરેરાશ ૪૫૦૦ યાત્રિકો
સૌરાષ્ટ્રમાંથી હાલ દૈનિક ૪૫૦૦થી ૫૦૦૦ નાગરિકો ડોમેસ્ટીક ફ્લાઈટ્સ મારફત દિલ્હી જતા આવતા હોય છે. માર્ચ-૨૦૨૫માં રાજકોટ એરપોર્ટ પરથી સૌથી વધારે ૯૯, ૫૨ ૧, ભૂજ એરપોર્ટ પરથી ૨૩,૧૦૪, કેશોદ એરપોર્ટ પરતી ૧૨૯૦, જામનગર એરપોર્ટ પરથી ૧૪,૧૫૫ ઉતારુઓ નોંધાયા છે. આમ, રાજકોટ એરપોર્ટ પરથી રોજ ૩૨૦૦, ભૂજથી ૭૭૦, કેશોદથી રોજ સરેરાશ ૪૩ સહિત ૪૫૦૦થી વધારે ઉતારુઓની અવરજવર રહે છે. હાલ ત્રણ દિવસ આ હવાઈયાત્રા સ્થગિત રહેશે.