ગાય-ભેંસ તો ઠીક, આખલો પણ લાખો રૂપિયાની કમાણી કરાવે છે
05-03-2025

અમરેલી જિલ્લાનાં ગ્રેજ્યુએટ યુવકની પશુપાલનમાં સિધ્ધિ
અમરેલી જિલ્લાના રાભડા ગામના ગ્રેજ્યુએટ યુવાન પ્રદીપભાઈ પરમાર વારસાગત પશુપાલન વ્યવસાયમાં સક્રીય છે અને ગૌશાળા ચલાવે છે. તેમની પાસે ગીર નસલની ૩૫ ગાય અને ૨ નંદી છે. જેમાં ગીર પ્રજાતિની ગાયોના સંવર્ધન માટે આ આખલાને ભાડે આપીને લાખોની કમાણી કરી રહ્યા છે. 'કોહિનૂર' આખલો બે વર્ષનો હતો ત્યારે રાણપુર ગામના એક પશુપાલક પાસેથી રૂા.ચાર લાખમાં ખરીધો હતો અને પોતાની ગૌશાળામાં લાલન-પાલન કરીને ઉછેરતા આજે તેની ઊંચાઈ ૫ ફૂટ ૮ ઈંચ છે, જ્યારે તેની લંબાઈ ૮ ફૂટ ૮ ઈંચ છે. હાલમાં ગાંધીનગર પંથકમાં આ કોહિનુર આખલાને ૮ લાખ ૫૧ હજારમાં ૪ મહિના માટે બ્રિડીંગ માટે આપવામાં આવ્યો છે.
આ સાંઢ ત્રણ ગાયોને ખોરાક એકલો આરોગી જાય છે, જેમાં એક લિટર સીંગતેલ સહિત દૈનિક રૂા.૨૫૦૦નો ખર્ચ
'કોહિનૂર' આખલો ત્રણ ગાયોનો ખોરાક એકલો આરોગી જાય છે. જેમાં રોજ ૧૩ કિલો લીલો ચારો અને ૭કિલો સુકો ઘાસચારો, ૭ કિલો કપાસિયા ખોળઅને મિક્સ ખોળ પાપડી, ૧ લીટર મગફળીનું શુદ્ધ સીંગતેલ ૧ કિલો વિશેષ દાણ સહિત દૈનિક અંદાજિત ૨૫૦૦ રૂપિયાનો ખોરાક ખર્ચ થાય છે. જો કે, આ માલધારી પાસે રહેલી ૩૫ ગીર ગાયો ૭૦ લીટર દૂધ આપે છે, જેનો એક લીટરનો ભાવ ૯૦ રૂપિયા મળી રહે છે અને દૂધમાંથી તૈયાર થતાં ઘીનો ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ તેમજ દિલ્હી અને પંજાબ સહિતના રાજ્યોમાં એક કિલોનો ભાવ ૩૦૦૦ રૂપિયા સુધી મળી રહે છે. જેથી પશુપાલનનો બધો ખર્ચ બાદ કરતા પણ દર મહિને એકાદ લાખ જેવી આવક થઈ જતી હોવાનું પશુપાલક પ્રદીપભાઈ પરમાર કહે છે.