સફેદ ડુંગળીમાં ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવા માગ
30-04-2025

ખંભાળિયામાં પાઠવાયું આવેદન
દ્વારકા જિલ્લા સહિત રાજ્યના ખેડૂતોને ચણાની ટેકાના ભાવે ખરીદી, સફેદ ડુંગળીમાં સહાય તેમજ સિંચાઈના પાણી સહિતના મુદ્દે ખંભાળિયામાં જિલ્લા ખેતી વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
ટેકાના ભાવે ચણાની ઓછામાં ઓછી ૨૦૦ મણ ખરીદી કરવા માંગ
આમ આદમી પાર્ટી દ્વારા પાઠવાયેલા આવેદન પત્રમાં રાજ્ય સરકાર દ્વારા હાલ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં ખેડૂતોની મજાક બંધ કરવાનું જણાવી, હાલ ચણા અને રાયડાની ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં રાયડામાં ૪૫,૦૦૦ અને ચણાના ૬૫,૦૦૦ મળી કુલ ૧.૧૦ લાખથી વધુ ખેડૂતોના રજીસ્ટ્રેશન બ્લોક કરી દેવામાં આવ્યા છે. જે બાબતને ગંભીર ગણાવવામાં આવી છે. ચણા ખરીદીમાં એક ખેડૂત પાસેથી માત્ર ૯૦ મણ જ ખરીદી કરવાનો નિર્ણય લઈ સરકારે ખેડૂતની મજાક કરવામાં આવી હોવાનું જણાવી, બ્લોક થયેલા રજીસ્ટ્રેશન અનબ્લોક કરવામાં આવે અને ચણાની ખરીદી માં પ્રતિ ખેડૂત ઓછામાં ઓછું ૨૦૦ મણ સુધી ચણાની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી છે.
સફેદ ડુંગળીએ અનેક ખેડૂતોને રડાવ્યા છે. ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રના ગામડાઓમાં ખેડૂતોએ સફેદ ડુંગળીનું મોટા પાયે વાવેતર કરેલું હતું, જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને ખૂબ જ મોટું આર્થિક નુકસાન થયું છે. ભૂતકાળમાં જ્યારે પણ સફેદ ડુંગળીમાં ખેડૂતોને નુકસાન થયું છે. ત્યારે સરકારે ખેડૂતો આર્થિક મદદ કરી છે. આ વખતે પણ સરકાર તાત્કાલિક ધોરણે પ્રતિ કિલો રૂા.૧૦ સહાય પેટે જાહેરાત કરી ખેડૂતોને આર્થિક મદદ કરે તેવી પણ માંગ કરી છે.
અનેક જિલ્લામાં સિંચાઈનું પાણી ન મળવાથી ફળદ્રુપ જમીન છોડીને ખેડૂત સ્થળાંતર કરવા મજબૂર થયો છે. જેના કારણે ગામડાઓ ભાંગી રહ્યા છે. આવા જિલ્લાઓમાં દરેક ગામડા સુધી સિંચાઈનું પાણી પહોંચાડી ખેડૂત અને ગામડાઓ બચાવવામાં આવે તેવી માંગ કરાઇ છે.