વન્યપ્રાણીના હુમલાથી બચવા ખેડૂતો સહિતને હથિયાર લાયસન્સ આપવા પણ માંગ
22-01-2025

ભાજપના નેતા દિલીપ સંઘાણીનું વિવાદિત નિવેદન
ઈફકોના ચેરમેન અને ભાજપના સિનિયર નેતા દિલિપ સંઘાણીએ આજે એક વિડીયો નિવેદનમાં જણાવ્યું કે સીઆરપીસીમાં વર્ષો પહેલાની એવી જોગવાઈ છે કે સ્વરક્ષણ માટે માણસનું મર્ડર કરી શકાય તો પછી આ જોગવાઈ વન્યપ્રાણીઓના હુમલાથી બચવા એટલે કે વન્યપ્રાણીઓને મારવા માટે કેમ નહીં તેવો સવાલ ઉઠાવ્યો છે.
તેમણે બેબાક માંગણી કરી હતી કે ગીર જંગલના મહેસુલી વિસ્તારમાં ખેડૂતો, ઉદ્યોગકારો વગેરેને વન્યપ્રાણીથી સ્વરક્ષણ કરવા માટે હથિયાર લાયસન્સ આપવા જોઈએ. આ ઉપરાંત તેમણે ગાય- ભેંસ જેવા પ્રાણીઓ દેશના અર્થતંત્ર માટે ઉપયોગી છે તેવા ઉપયોગી વન્યપ્રાણીઓ નથી કહીને પરોક્ષ રીતે રંજાડતા કે હુમલો કરતા પ્રાણીઓને મારવાની તેમણે તરફદારી કરી હતી.
ગીર મહેસુલી વિસ્તારમાં વન્યપ્રાણીઓથી રક્ષણ માટે ખેડૂતો સહિતને હથિયાર લાયસન્સ આપવા પણ માંગ
સંઘાણીએ ગીર જંગલ એક સમયે ગાઢ પરંતુ, ઈ.સ.૧૯૭૨માં સ્વ.ઈન્દિશ ગાંધીની મુલાકાત બાદ પશુપાલકોને ત્યાંપી હાંકી કાઢ્યા પછી વૃક્ષોનું નિકંદન નીકળતું રહ્યું છે તેની પણ તપાસ થવી જોઈએ. તેમણે વન્યપ્રાણીઓની વસ્તી અગાઉના સમયમાં પણ વધતી અને હવે તો માણસો કરતા પણ વધુ વધી રહ્યાનું પણ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે એશિયાઈ સિંહ એકમાત્ર ગીર જંગલમાં જોવા મળે છે અને તેના રક્ષણ માટે કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અનેક પગલા લેવાઈ રહ્યા છે, આ સિંહોને લઈને ટુરીઝમ વિકસ્યું છે ત્યારે ભાજપના જ સિનિયર નેતાના આ નિવેદનના અનેક અર્થો કરાઈ રહ્યા છે.