દેશમાં તુવેરની ડયૂટી ફ્રી આયાત નીતિ વધુ એક વર્ષ લંબાવાઈ
22-01-2025
ભાવમાં સમતુલા જાળવવા સરકારનો નિર્ણય
દેશમાં તુવેરના ભાવમાં સમતુલા જાળવી રાખવા સરકાર દ્વારા લાગુ કરાયેલી તુવેરની ડયૂટી ફી આયાત નીતિ વધુ એક વર્ષ લંબાવવામાં આવી છે. સરકાર દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન પ્રમાણે તુવેરની મુકત આયાત નીતિ ૩૧મી માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે.
ભાવમાં સમતુલા જાળવવા સરકારનો નિર્ણય
દેશમાં કઠોળના ભાવને નીચા રાખવાના, હેતુ સાથે સરકારે ૨૦૨૧ના ઓકટોબરમાં મુક્ત આયાત નીતિ લાગુ કરી હતી. ખાધ્ય પદાર્થોના ફુગાવાના ઊંચા સ્તરને ધ્યાનમાં રાખી આ નિર્ણય આવી પડયો હતો. ૨૦૨૧માં ખાધ્ય ફુગાવો આઠ ટકાથી વધુ જોવા મળ્યો હતો.
હાલમાં પણ મુખ્ય ફુગાવામાં ખાધ્ય પદાર્થોનો ફુગાવો ઊંચો જળવાઈ રહેતા રિઝર્વ બેન્ક માટે વ્યાજ દરમાં ઘટાડો કરવાનું શક્ય બનતું નથી. દેશમાં તુવેરના વપરાશની સામે તેનું ઉત્પાદન નીચુ રહેતું હોવાથી સરકારે તેની આયાત કરવાની ફરજ પડી રહી છે. વર્તમાન વર્ષમાં દેશનું તુવેર ઉત્પાદન ૩૫.૦૨ લાખ ટન રહેવા અંદાજ મુકાયો છે જે ગઈ મોસમની સરખામણીએ ૨.૫૦ ટકા વધુ હશે.