બે મહિના વિત્યા છતાં 20 ટકા જ મગફળીની ખરીદી થઈ શકી
23-01-2025

સરકારની નીતિ, વેપારી માલામાલ, ખેડૂતો પાયમાલ
ટેકાના ભાવે મગફળી ખરીદી મામલે ખેડૂત આગેવાનોએ સરકારની નીતિ સામે સવાલ ઉઠાવ્યાં છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મંથરગતિએ મગફળીની ખરીદી થઈ રહી છે. બે મહિના જેટલો સમય વિત્યો હજુ સુધી માત્રને માત્ર ૨૦ ટકા જ મગફળીની ખરીદી થઇ શકી છે. અત્યાર સુધી માત્રને માત્ર ૨.૭૦ લાખ મે.ટન મગફળી જ ખરીદી શકાઈ છે.
આ જ મંથરગતિએ જ ૧૦.૩૦ લાખ મે.ટન મગફળીની ખરીદી કરતાં હજુ ૨૮૮ દિવસ લાગશે
ગુજરાતમાં આયોજન વિના ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે તેવુ લાગી રહ્યું છે. એક તરફ, કૃષિ વિભાગ મગફળી ખરીદીની મોટી મોટી વાતો કરી રહ્યુ છે ત્યારે બીજી તરફ, ખરીદી ગોકળગાય ગતિએ થઈ રહી છે. યોગ્ય આયોજનના અભાવ ઉપરાંત કૃષિ અધિકારીઓની મનમાનીને લીધે આ પરિસ્થિતીનું નિર્માણ થયુ છે.
ખેડૂત આગેવાનોનો આક્ષેપ છેકે, સરકાર અને કૃષિ વિભાગની નીતિ જ ખેડૂતવિરોધી રહી છે. વેપારીઓ માલામાલ થયા છે તો ખેડૂતો પાયમાલ થઇ રહ્યાં છે. સમયસર ખરીદી ન થતાં ખેડૂતો નાછૂટકે નાણાંની જરુરિયાત ખાતર ઓપન માર્કેટમાં વેપારીઓને મગફળી વેચવા મજબૂર થયા છે. બારદાન, ગોડાઉન અને ટ્રાન્સપોર્ટના અભાવે મગફળી ખરીદી બંધ રહે છે. જો ૧૬૦ કેન્દ્રો પર ૧૦૦ ખેડૂતો પાસેથી નિયમિત ખરીદી કરવામાં આવી હોત તો, ૨૦-૨૫ દિવસમાં જ મગફળીની ખરીદીનો ટાર્ગેટ પૂર્ણ થઈ શક્યો હોત. પણ આ જ પ્રમાણે, મગફળીની ખરીદી થશે તો હજુ બીજા ૨૮૮ દિવસે ટાર્ગેટ પૂર્ણ થશે.
મહત્વની વાત એછે કે, દોઢ મહિના પછી પણ ખેડૂતોને મગફળીના પૈસા ચૂકવાયાં નથી. આ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.