જમીનનો સર્વે કરનારને ખેડુતે પડકારતા દાદાગીરી કરી ધમકી, ‘તુમ કયા કર લોગે’
19-02-2025

પલસાણાના કણાવ ગામે ખેડુતોની જાણ બહાર જમીન સર્વે
સુરત જિલ્લામાં પાવરગ્રીડ કંપની દ્વારા ૭૯૫ કે.વી લાઈનને લઈને ખેડુતોમાં જોરશોરથી વિરોધ તો થઈ જ રહયો છે. આ વિરોધ વચ્ચે આજે પલસાણાના કણાવ ગામે એક ખાનગીં કંપનીના કર્મચારીઓ ખેડુતોની જાણ બહાર જાતે જ પાલઘરથી ભૂસાવલ વચ્ચે રેલ્વે લાઈન નાંખવા માટે સર્વે કરવા જમીનમાં ધુસી જૂતા ખેડુતે પડકારતા કર્મચારીઓએ દાદાગીરી કરતા ખેડુતોએ આક્રોશ વ્યકત કર્યો હતો કે એજન્સીઓને કોઈનો ડર જ રહ્યો નથી. કોઈ પણ ખેતરમાં આવીને ધુસી જાય છે.
પાવરગ્રીડની લાઈનનો વિરોધ તો ચાલી જ રહ્યો છે ત્યાં ભૂસાવલથી પાલઘર વચ્ચે રેલવે ટ્રેક નાંખવા આરવી એસોસિએટના કર્મચારીઓ આવતા વિરોધ
સુરત જિલ્લામાં પાવરગ્રીડ કંપની દ્વારા એક લાઈન માટે જાહેરનામુ બહાર પાડયા બાદ ફરી બીજી લાઈન માટે જાહેરનામું આવતા ખેડુતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હજુ તો આ વીજ લાઈનને લઈને ખેડુતો વિરોધ કરી રહ્યા છે. એક અજુગતી ઘટના પલસાણા તાલુકાના કણાવ ગામે બની હતી. આ ગામના ખેડુત મયુરભાઇ ભકત પોતાના ખેતરમાં જતા બે થી ત્રણ અજાણ્યા ઇસમ ફરી રહ્યા હતા. આથી તેમને શંકા જતા પુછતા પહેલા તો પોતે ટુરીસ્ટ હોવાનું ત્યારબાદ ઉકાઈ માટે પાણીનું સર્વે કરવાનું જુઠ્ઠાણુ ચલાવ્યુ હતુ. આથી ખેડુતને શંકા જતા વિડીયો ઉતારવાનું શરૂ કરતા જ સર્વે કરવા આવનારાઓએ શાબ્દીક પ્રહારો કર્યા હતા કે તુમ કયા કર લોગે.આથી ખેડુતે સુરત જિલ્લા ખેડુત સમાજના પ્રમુખ પરિમલ પટેલ અને અન્ય ખેડુતોને આ બાબતે માહિતગાર કરતા તુરંત દોડી આવ્યા હતા.
ખેડુત સમાજના આગેવાનોએ સર્વે કરવા આવનારાઓના આઈ.ડી કાર્ડ માંગ્યા હતા. અને પુછપરછ કરતા તેઓ આરવી એસોસિએટના કર્મચારી હોવાનું અને પાલધરથી ભૂસાવલ વચ્ચે રેલવે લાઇન માટે સર્વે કરવા માટે આવ્યા હોવાની હકીકતો જણાવી હતી. પરિમલ પટેલે આક્ષેપ કર્યા હતા કે સુરત જિલ્લામાં જાણે કાયદો વ્યવસ્થા મરી પરવારી હોય તેમ કોઈ પણ એજન્સીના કર્મચારીઓ ગમે ત્યારે ખેતરોમાં ધુસીને ખેડુતો સાથે દાદાગીરી કરી રહ્યા છે. આથી આવી એજન્સી સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી.
ખેડુતોનો સંપર્ક પણ કરવામાં આવ્યો નથી
દક્ષિણ ગુજરાત ખેડુત સમાજના પ્રમુખ રમેશ પટેલ જણાવે છે કે આ પહેલા પાવરગ્રીડ અને સ્ટરલાઈટ એજન્સીના કર્મચારીઓ પણ આ રીતે ખેતરોમાં ધુસી ગયા હતા. ખેડુતોને ખેતરોમાં સર્વે કરવા માટે આવનાર હોય તેની કોઈ જાણકારી આપવામાં આવતી નથી. મનફાવે તેમ આવીને ખેતરોમાં ધુસીને સર્વે કરતા હોય છે. આવા તત્વાને અંકુશમાં રાખવા માટે વહીવટી કે પોલીસ તંત્ર કોઈ પગલાં લેતુ નથી?
ખેતરમાંથી હજુ તો પાવરગ્રીડ લાઈનનો ઈસ્યુ ઉકેલાયો નથી
આજે પલસાણાના કણાવ ગામે ખેડુતના ખેતરોમાં ધુસીને જે સર્વે કરાયો હતો તે ખેડુતની સાથે ઘણા એવા ખેડુતો છે જેમની જમીનમાંથી પાવરગ્રીડ લાઈન જવાની છે. આથી હજુ તો પાવરગ્રીડને ઈસ્યુ સોલ્વ થયો નથી ત્યાં તો આ રેલ્વે માટે જમીન સંપાદનના સર્વે શરૂ થતા ખેડુતો કહે છે કે હવે અમારી ફળદ્રુપ જમીનનું નિકંદન નિકળી જશે.