ખેતરમાં કામ કરતી વખતે વીજ કરંટ લાગવાથી ખેડૂતનું મોત
03-02-2025

મોરબીના લીલાપર રોડ પર બની ઘટના
મોરબીના લીલાપર રોડ પરના ખેતરમાં કામ કરતી વખતે ૬૦ વર્ષીય વૃધ્ધને વીજશોક લાગતા મોત થયું હતું. અમરેલી જિલ્લામાં આપઘાતના બે બનાવો સામે આવ્યા છે. રાજુલાના ભેરાઈ ગામે જીવનથી કંટાળી ૩૨ વર્ષીય યુવકે આપઘાત કર્યો હતો. જાફરાબાદમાં કંપનીની ગર્લ્સ હોસ્ટેલમાં ૨૫ વર્ષીય યુપીની યુવતીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી હતી.
રાજુલામાં જીવનથી કંટાળી યુવાને જીવન ટૂંકાવ્યું : જાફરાબાદમાં ગર્લ્સ હોસ્ટેલમાં યુવતીનો આપઘાત
મોરબી તાલુકાના લીલાપર રોડ પર રહેતા રમેશભાઈ બચુભાઈ દેથરીયા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધ લીલાપર ગામની સીમમાં આવેલ ખેતરમાં હતા ત્યારે પગના ભાગે ઇલેક્ટ્રિક શોક લાગતા મોત થયું હતું. રાજુલા તાલુકાના ભેરાઈ ગામે ઇમ્તિયાઝભાઈ નનુભાઈ કાજી નામના ૩૨ વર્ષીય યુવકે પોતાના રહેણાંક મકાનમાં જિંદગીથી કંટાળી ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું.
જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ ખાતે આવેલ સિટેક્ષ કંપનીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને પ્રાઇવેટ નોકરી કરતી આફ્રિનબેન મહમદ યુનુસભાઈ સતાર મહમદભાઈ શેખ નામની ૨૫ વર્ષીય યુપીની યુવતીએ કોઇ કારણોસર ગળે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવને લઈને પિતાએ જાફરાબાદ પોલીસ મથક ખાતે જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.