ચાલુ બાઈકમાં બ્લડપ્રેશર વધવાથી પટકાઈ પડતા ખેડૂતનું કરૂણ મોત
27-01-2025

કાલાવડના સૂર્યપરા ગામના બુઝુર્ગને અકસ્માત નડ્યો
કાલાવડ તાલુકાના સૂર્યપરા ગામના ખેડૂત બુઝુર્ગનું બાઈક પરથી પટકાઈ પડતા ગંભીર ઈજા થયા પછી કરુણ મૃત્યુ નીપજ્યું હતું. તેમને ચાલુ બાઈકમાં બ્લડપ્રેશર વધી જતાં નીચે પટકાઈ પડ્યા પછી માથામાં પથ્થર વાગવાના કારણે હેમરેજ થયું હતું.
વાડીએથી ઘરે આવતી વખતે બીપી વધી જતાં બાઈક સ્લીપ થવાથી માથામાં પથ્થર વાગવાના કારણે હેમરેજ થતાં પ્રાણપંખેરૂં ઉડી ગયું
વિગત પ્રમાણે, જામનગર તાલુકાના સૂર્યપરા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા મનજીભાઈ કાનજીભાઈ મૂંગરા નામના ૭૨ વર્ષના ખેડૂત પોતાનું બાઈક લઈને વાડીએથી ઘર તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન તેઓને માર્ગમાં એકાએક ચાલુ બાઈકે બ્લડપ્રેશર વધી ગયું હતું અને નીચે પટકાઈ પડયા હતા.
જે અકસ્માતમાં તેઓને માથાના ભાગે પથ્થર લાગ્યો હોવાથી હેમરેજસહિતની ઈજા થઈ હતી અને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.