સિંહણનાં હુમલામાં ખેડૂતે જીવ ગુમાવ્યો, ગ્રામજનોમાં ફફડાટ
05-03-2025

અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની સરહદે ઘટના
અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની સરહદે આવેલા જાફરાબાદ તાલુકા અને ગીર ગઢડાની સીમ વિસ્તારમાં આવેલા કાકડી મોલી વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે. અહીં એક સિંહણે ખેડૂત મંગાભાઈ બારૈયા પર હુમલો કરતા ખેડૂતનું મોત નિપજયું હતું.
ઘટનાને પગલે કાકડી મોલી વિસ્તારમાં ભયનો માહોલ, સિંહણને ઝડપી લેવા વન અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ
મળતી માહિતી મુજબ, મંગાભાઈ, બારૈયા ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક એક સિંહણે તેમના પર હુમલો કર્યો હતો. સિંહણ તેમને પકડીને દૂર સુધી ઢસડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
વનવિભાગની ટીમે જેસીબીની મદદથી મંગાભાઈના મૃતદેહને સિંહણના પંજામાંથી છોડાવ્યો હતો, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉના હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. વનવિભાગે સિંહણને પકડવા માટે મેગા ઓપરેશન શરૂ કર્યું છે. વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ સિંહણને શોધવા માટે જંગલમાં પેટ્રોલિંગ કરી રહી છે.