કપાસ વેચવા આવેલા ખેડૂતને થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો, આજથી આંદોલનની ચીમકી
08-02-2025

ભારત સરકારના કર્મચારીઓ અને જીન માલિકે મળીને માર માર્યો, ખેડૂતએ ઝેરી દવા પીધી
સંખેડા તાલુકાના હાંડોદ ખાતે આળેલ જગદંબા જીનમાં કપાસ આપવા આવેલા દેવલીયાના ખેડૂતને જીનના માલિક અને ભારત સરકારના ઉપક્રમ સીસીઆઈ (કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) ના કર્મચારીઓએ લાઈટના થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. ખેડૂતને બચાવવા વચ્ચે પડેલા ખેડૂત પુત્રને પણ ટોળાએ બેરહેમીપૂર્વક માર માર્યો હતો. પુત્રની સામે જ માર મારવાની ઘટનાથી આઘાતમાં સરી પડેલા ખેડૂતે ઝેરી દવા ગટગટાવી લેતા હાલમાં તે ડભોઈ ખાતે હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે
ખેડૂતનો પુત્ર વચ્ચે પડતા તેને પણ માર્યો, જાહેરમાં થયેલ અપમાન સહન નહીં થતાં ખેડૂતે ઝેરી દવા ગટગટાવતા સારવાર હેઠળ
તિલકવાડા તાલુકામાં દેવલીયા ગામે રહેતા દિનેશ ઈશ્વરભાઈ બારીયા (ઉ.૪૫)| અને તેમના પુત્રો કૌશિક તથા ભુપેન્દ્ર આજે વહેલી સવારે તેમનો કપાસ લઈને વેચવા માટે હાડોદ ખાતે આવેલ જગદંબિકા જીનમાં આવ્યા હતા અને પોતાના ટ્રેક્ટરમાંથી કપાસ ઉતાર્યો હતો જે બાદ અહીં ઉપસ્થિત સીસીઆઈના અધિકારીઓએ રૂ.૭, ૧૦૦નો ભાવ આપ્યો હતો. આ ભાવે અમે કપાસ આપવા માગતા નહી હોવાથી અમે ના પાડી હતી. આ દરમિયાન જીનના માલિક હિતેશ શાહ ત્યાં આવ્યા હતા અને તમારો માલ સુકો છે એટલે અમારે લેવાનો નથી તેવુ કહીને દિનેશભાઇ બારીયા સાથે બોલાચાલી કરી હતી. જે બાદ દિનેશભાઈ તેમનો કપાસ ટ્રેક્ટરમાં ભરી દીધો હતો.
કપાસ ટ્રેકટરમાં ભરાયા બાદ તેનું વજન કરવા માટે ખેડૂતે માગ કરતા જીનના વજનકાંટાવાળાએ ના પાડી દીધી હતી એટલે દિનેશભાઈ બારીયા અને હિતેશ શાહ વચ્ચે ફરી બબાલ થઈ હતી.આ સમયે હિતેશ શાહ અને તેના માણસો ઉપરાંત સીસીઆઇના કર્મચારીઓ દિનેશ બારીયાને ઘેરી વળ્યા હતા અને પકડીને થાંભલા સાથે બાંધી દીધા હતા અને ઢોર માર માર્યો હતો. આ દ્રશ્ય જોઈને ખેડૂત દિનેશભાઈનો પુત્ર કૌશિક પિતાને બચાવવા દ દોડી આવ્યો હતો | ત્યારે હિતેશ અને તેના માણસોએ કૌશિકને પણ પકડી લીધો હતો અને તેને પણ માર માર્યો હતો. માર મારીને દિનેશભાઈને છોડી દીધા હતા. પરંતુ પોતાના ગમાના ખેડૂતો અને પુત્રની સામે જ જાહેરમાં થયેલા અપમાનથી મનોમન લાગી આવતા દિનેશભાઈ બારીયાઆ નજીકની દુકાનમાંથી જંતુનાશક દવાની બોટલ લાવ્યા હતા અને જાહેરમાં જ ગટગટાવી લીધી હતી. જેના કારણે દિનેશભાઈની તબિયત લથડતા સંખેડા આરોગ્ય કેન્દ્રમાં અને ત્યાર બાદ ડભોઈ ખાતે ખસેડયા છે અહી તેઓની સારવાર ચાલી રહી છે.
જીન માલિક અને સીસીઆઇના કર્મચારી સામે ફરિયાદ નોંધવા પોલીસ તૈયાર નથી
દવા પીનાર ખેડૂતના પુત્ર ભુપેન્દ્ર બારીયાનું કહેવું છે કે ‘૭૧૦૦ રૂપિયા ભાવ સીસી આઈ ના અધિકારીઓ નક્કી કરતા અમારે કપાસ વેચવો ના હતો અને અમે ખાલી કરેલો કપાસ પાછો ટ્રેકટરમાં ભરતા અમારા ટ્રેકટર માં કપાસ ભરવા દીધો ના હતો અને કહ્યુ હતું કે વજન નહિ કરીએ પાંચ વાગ્યા પછી આ કામ થશે તે બાબતે અમે વિરોધ કરતા જીન માલિક, સીસીઆઈના કર્મચારીઓ અને જીનના કર્મચારીઓ મારા પિતાજી અને મારા ભાઈને મારેલ છે ને જેને લઈને મારા પિતાજીએ દવા | પીધેલ છે આ સીસી આઈ ને અધિકારીઓ અને જીન માલિકો સામે ફરિયાદ નોંધવા માટે અમે પોલીસને રજૂઆત કરતા પોલીસ અમારું સાંભળતી નથી અને જીન માલિક થાય તે કરી લો તેવી ધમકી આપે છે. આગામી દિવસોમાં ખેડૂતો જલદ આંદોલન કરશે.”
જિલ્લાના ખેડૂતોમાં ભારે આક્રોશ, આજથી આંદોલનની ચીમકી
જીનમાં ખેડૂતને માર મારવાની ઘટના બનતા આસપાસ ના ખેડૂતો દોડી આવ્યા હતા અને જીન માલિક સામે અને સીસી આઈ ના અધિકારીઓ સામે આક્રોશ ઠાલવ્યો હતો અને એક સમયે સ્ફોટક પરિસ્થિતિ નું નિર્માણ થયું હતું. ખેડૂતોનું કહેવુ છે કે કાલથી આંદોલન કરશે અને કપાસની જીનમાં આવીને અધિકારીઓનો ઘેરાવો કરશે. સીસીઆઈ મારફતે કપાસની ખરીદી માં ચાલતો ભ્રષ્ટાચારને ખેડૂતો ખુલ્લો પાડવા માટે ઉચ્ચ સ્તરે રજૂઆત રજૂઆત પણ કરવામાં આવશે.