રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવના કારણે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે : રાજ્યપાલ
08-01-2025

કૃષિ તજજ્ઞો હવામાનને અનુરૂપ બીજ તૈયાર કરવાં જોઈએ : હાઈબ્રીડ બીજ ઘાતક છે
ગુજરાતના કૃષિ તજજ્ઞો અને વૈજ્ઞાનિકોએ હવામાન કે વાતાવરણને અનુકૂળ બીજ તૈયાર કરવા જોઈએ તેવી અપીલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કરી છે. તેમણે કહ્યું છે કે કૃષિના વિદ્યાર્થીઓએ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવી શોધ અને સંશોધન કરી કૃષિને સમૃદ્ધ બનાવવી જોઇએ.
કૃષિ તજજ્ઞો હવામાનને અનુરૂપ બીજ તૈયાર કરવાં જોઈએ : હાઈબ્રીડ બીજ ઘાતક છે
તેમણે ચોકાવનારો દાવો કર્યો હતો, કે રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવના કારણે ખેડૂતો ખેતી છોડી રહ્યાં છે. આ સંજોગોમાં પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે, જેનાથી ઓછા ખર્ચે ઉત્પાદન વધારે મળે છે અને જમીનની ફળદ્રુપતા પણ સુધરે છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં તેમણે ૩૪ તેજસ્વી વિદ્યાર્થીઓને ૫૩ સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા, જ્યારે વિવિષ વિદ્યાશાખાના ૬૪૧ વિદ્યાર્થીને પદવી એનાયત કરી હતી. રાજ્યપાલે રાસાયણિક ખેતીને ગ્લોબલ વાર્મિંગ માટે જવાબદાર ગણાવી છે અને કહ્યું છે કે પ્રાકૃતિક ખેતીને કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રોત્સાહન આપી રહી છે. તેમણે કહ્યું હતું કે હાઇબીડ બીજ ઘાતક છે, તેથી કૃષિ ક્ષેત્રના વૈજ્ઞાનિકો વરસાદમાં ટકી શકે તેવા ભારતીય બીજ બનાવવા જોઇએ. દેશ સહિત રાજ્યમાં ગરમીના દિવસો વધતાં જાય છે અને ભવિષ્યમાં ગરમીનો પારો ૪૮ થી ૫૦ ડીગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. તેથી ખેડૂતો માટે આવી ગરમીમાં ટકી શકે તેવા બિયારણ શોધવા જોઈએ.