મગફળી ખરીદવાની મર્યાદા 125 મણ પ્રતિદિનથી વધારીને 200 મણ પ્રતિદિન કરતા ખેડૂતો ખુશ ખુશાલ
15-02-2025

ખેડૂતોને ખરીદી બાદ માત્ર સાત દિવસમાં ચૂકવણું કરીને રાજ્ય સરકારે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં મગફળી સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. ભારત અને ગુજરાત સરકારના પ્રો-એક્ટિવ પ્રયાસોના પરિણામે ખેડૂતોની સંખ્યા અને ખરીદ જથ્થાની દ્રષ્ટિએ રાજ્યમાં મગફળી પાકની વિક્રમજનક ખરીદી થઈ છે. સાથે જ, ખેડૂતોને ચૂકવણું પણ ખરીદી બાદના માત્ર ૭ જ દિવસમાં કરવાનો નવો કીર્તિમાન સ્થાપિત થયો છે.
આ સંદર્ભે વિગતો આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે રાજ્યના ખેડૂતો પાસેથી મગફળીની અત્યાર સુધીની સૌથી વધુ ૧૨.૨૩ લાખ મેટ્રિક ટન ખરીદી કરવામાં આવી છે. રાજ્યના ૩.૬૭ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૮,૨૯૫ કરોડથી વધુ મૂલ્યની મગફળી ખરીદવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા એક ખેડૂત પાસેથી પ્રતિદિન ૧૨૫ મણ મગફળીની ખરીદીની મર્યાદામાં વધારો કરીને ૨૦૦ મણ પ્રતિદિન નિયત કરવામાં આવી હતી. જેના પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં થયેલી મગફળીની કુલ ૨૨.૮૪ લાખ મેટ્રિક ટન ખરીદી સામે આ એક જ વર્ષમાં રેકોર્ડબ્રેક ૧૨.૨૩ લાખ મેટ્રિક ટન ખરીદી થઈ છે. જેનાથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
મંત્રીએ કહ્યું કે, ખેડૂતો વાવેતર કરે તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કરવાની નવી પ્રણાલીથી ખેડૂતો નિશ્ચિંત થઈને વાવેતર કરી રહ્યા છે. ચાલુ સિઝનમાં મગફળીનું મબલખ વાવેતર અને મબલખ ઉત્પાદન થવા સાથે બજાર ભાવ કરતા મગફળીનો ટેકાનો ભાવ મણે રૂ. ૨૫૦ જેટલો વધુ હોવાથી ખેડૂતોએ ટેકાના ભાવની આ યોજનાનો મન મુકીને લાભ લીધો છે. એકંદરે આ ૩.૬૭ લાખ ખેડૂતોને કુલ રૂ.૧૫૩૦ કરોડનો સીધો લાભ મળ્યો છે.
નોંધણી કરાયેલા ૩.૭૪ લાખ ખેડૂતોને ખરીદી માટે મેસેજ કર્યા બાદ ૯૮ ટકા ખેડૂતોએ આ યોજનાનો લાભ લેતા સરકારને મગફળીનું વેચાણ કર્યું છે. જે પૈકીના ૨.૯૨ લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા ૬,૬૦૦ કરોડ જેટલી માતબર રકમનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. બાકીના ખેડૂતોને પણ આગામી સાત દિવસમાં ચૂકવણું પૂર્ણ કરવાનું આયોજન છે, તેવી મંત્રી શ્રી પટેલે ખાતરી આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ રેકોર્ડબ્રેક ખરીદી કોઈપણ અડચણ વગર સુચારૂરુપે પૂર્ણ થાય તે હેતુથી દર અઠવાડિયે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ દ્વારા અધિકારીઓ, કેન્દ્રિય અને રાજ્ય નોડલ એજન્સી તેમજ વખાર નિગમ સાથે સતત સમીક્ષા બેઠકો યોજવામાં આવી હતી. એટલું જ નહીં, કૃષી મંત્રીશ્રીએ કેટલાક ખરીદ કેન્દ્રોની પણ જાત મુલાકાત લઈ ખરીદી સફળતાપૂર્વક પૂર્ણ થાય તે સુનિશ્ચિત કર્યું હતું. મંત્રીશ્રીથી લઇ સમગ્ર તંત્ર દ્વારા નાનામાં નાના ખેડૂતના એક ફોન કોલથી મળતી રજૂઆતને પણ ગંભીરતાથી લઈને ખરીદી પ્રક્રિયામાં સહાયરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ખરીદીના તમામ પાસાઓ પર ઝીણવટપુર્વક દેખરેખ રાખવામાં આવી હતી. ખરીદી સમયસર પૂરી થાય તે માટે જરૂરી ખરીદ કેંદ્રો ખોલવા, પ્રત્યેક ખરીદ કેંદ્ર પર જરૂરી બારદાન ઉપલબ્ધી, વધુ ખેડૂતોને બોલાવી ઝડપી ખરીદી થાય તે માટે ઉપયુક્ત તમામ વયવસ્થા, જરૂરી ગોડાઉનોનું આગતોરૂ મેપીંગ તેમજ ખેડૂતોને સમયસર ચુકવણુ થાય તે તમામ બાબતો પર સંબંધિતોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી અંજુ શર્મા અને ખેતી નિયામકશ્રીની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી હતી.
નોંધનીય છે કે, ગત તા. ૮ ફેબ્રુઆરી બાદ પણ કેટલાક ખેડૂતોને ટેકાના ભાવે વેચાણ કરવાનું બાકી હોવાથી રાજ્ય સરકારે ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવી ખરીદી પાંચ દિવસ સુધી લંબાવવામાં આવી હતી. રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં પડકારજનક પરિસ્થિતિ વચ્ચે પણ તમામ ખેડૂતો પાસેથી ખરીદી પૂર્ણ કરી છે.
વડાપ્રધાનના ખેડૂતોને પોષણક્ષમ ભાવ પુરા પાડવાના નિર્ધારને સાચા અર્થમાં સાર્થક કર્યાનો સંતોષ કૃષિ મંત્રીશ્રીએ વ્યક્ત કરતા વડાપ્રધાનશ્રી, કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી અને તમામ અધિકારીશ્રીઓ, સબંધિત એજન્સીઓને ઉત્તમ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.