ખેડૂતોના સળગતાં પ્રશ્નો અંગે આજે જામખંભાળિયામાં ખેડૂત સંમેલન
30-01-2025

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જમીન માપણી સંપૂર્ણ રદ્દ કરવાની માંગ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જમીન માપણી સંપૂર્ણપણે રદ્દ કરવાની માંગ સાથે ખંભાળિયામાં વાછરાવાવ ખાતે આજે ગુરુવારે ખેડૂત સત્યાગ્રહ સંમેલન યોજાશે. દ્વારકા જિલ્લામાં વર્ષ ૨૦૧૬-૧૭ નો પાકવિમો ૭૦ થી ૮૦ ટકા મળવાપાત્ર હતો, તે સરકાર દ્વારા અપાયો ન હોવાથી આ અંગેની પણ માંગ કરાશે.
૨૭૨ ટકા વરસાદથી જિલ્લો અતિવૃષ્ટિગ્રસ્ત હોવા છતાં સરકારે પાકવીમો ન આપ્યા સહીતના અનેક સળગતા પ્રશ્નોની થશે ચર્ચા
દ્વારકા જિલ્લામાં ગત ચોમાસે નોંધપાત્ર ૨૭૨ ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે ચાલુ વર્ષનુ પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની આ સંમેલનમાં માંગણી કરનાર છે. વધુ વિગતો આપતા ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયાએ જણાવ્યું છે કે ૧૧ - ૧૧ વર્ષથી સરકાર જમીન માપણી ભૂલ સુધારણા અરજીઓ કરાવે છે, પણ પરિણામ શૂન્ય છે. આટલા વર્ષામાં સરકાર એક ગામનો નકશો પણ સુધારી શકી નથી.
ત્યારે આ માપણી સંપૂર્ણપણે રદ્દ જ કરવી જોઈએ તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. આ ઉપરાંત છેલ્લા ૭વર્ષથી કલ્યાણપુર તાલુકાના મહત્વના એવા સાનીડેમના તૂટેલા દરવાજા અને ચરકલા ડેમ સરકાર રીપેર કરી શકી નથી. વંગળી અને રેટા કાલાવડડેમ બનાવવા માટે છેલ્લા ૧૫ વર્ષથી દર ચૂંટણીએ માત્ર ઉદઘાટન થાય છે. પરંતુ ડેમ બનાવવાનું ટેન્ડર પણ થતું નથી.