વડિયામાં નર્મદા પાઈપ લાઈનનાં કામથી ઊભા પાકને નુકસાનની ભીતિ
23-01-2025

શિયાળુ પાક તૈયાર થવામાં એક માસ બાકી હોઈ કામ પછી કરવા માંગ
વડિયા વિસ્તારમાં નર્મદાનાં પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરીને કારણે ધરતીપુત્રોના ઉભા પાકને નુકશાન થવાને કારણે એક માસ માટે કામગીરી બંધ કરવામાં આવે તેવી રજૂઆત સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ખેડૂતોની માંગણી અવગણવામાં આવશે તો ઉગ્ર આંદોલન છેડાશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
મોઢે આવેલો કોળિયો છીનવાયાની લાગણી સાથે ધરતીપુત્રોનું આવેદન, ઉગ્ર આંદોલનની ચીમકી
ચોમાસા બાદ ખેડૂતોએ ચણા, ધાણા, તુવેર સહિતના શિયાળુ પાકોનું વાવેતર કર્યું છે. જેને તૈયાર થવામાં એક માસનો સમય લાગે છે. આ સ્થિતિમાં હાલ વડિયા, કુંકાવાવ વિસ્તારમાં નર્મદાના પાણીની પાઈપલાઈન નાખવા માટે ખોદકામની કામગીરી કરવામાં આવી રહી છે. પાઈપલાઈન નાખતા કોન્ટ્રાકટર જેસીબીની મદદથી ખોદકામ કરતા ખેડૂતોના તૈયાર થતા ઉભા પાકને નુકશાની થઈ રહી છે.
મહત્વનું છે કે, ખેડૂતો ખોદકામની કામગીરી થોડા સમય માટે વડિયાથી ખાખરીયા આસપાસ અટકાવી હતી. પરંતુ આ કામગીરી પુનઃ શરૂ થતા કિસાન ક્રાંતિ ટ્રસ્ટ અને ખેડૂતોએ વડિયા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોના મોઢે આવેલો શિયાળુ પાકનો કોળિયો છીનવાય ન જાય અને ખોદકામની કામગીરી એક માસ પૂરતી મુલતવી રાખવામાં આવે તેવી માંગણી કરી હતી. જરૂર પડયે આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ તકે મામલતદાર દ્વારા ખેડૂતોની રજૂઆત તાત્કાલિક ઉચ્ચકક્ષાએ કરવાની ખાતરી આપવામાં આવી હતી.