હોલસેલ માર્કેટમાં કિલોના રૂ 32 ના ભાવે ખરીદાતા આદુના છૂટક બજારમાં રૂ 150
27-01-2025

બેફામ નફો રળી રહેલા વેપારીઓ
અમદાવાદના કૃષિ ઉત્પન્ન બજારમાં છેલ્લા સાત દિવસથી ક્વિન્ટલના રૂા. ૩૨૦૦થી ૩૯૦૦ના (કિલોના રૂા. ૩૨થી ૩૯) ભાવે વેપારીઓ દ્વારા ખરીદવામાં આવી રહેલા આદુના છૂટક બજારમાં કિલોના રૂા. ૧૫૦થી ૨૦૦ના ભાવ લેવામાં આવી રહ્યા છે. ખેડૂતો છ મહિના મહેનત કરીને કમાતા નથી તેના કરતાં વધારે નાણાં છ કાલાક કામ કરીને વેપારીઓ કમાઈ રહ્યા છે. આ રેવાલ જ ચાલતી રહેશે તો ખેડૂતોની આવક વધારવાની સરકારની ઈચ્છા માત્ર કાગળ પર જ રહેશે. વેપારીઓ માલામાલ થતાં રહેશે અને ખેડૂતો કંગાળના કંગાળ જ રહેશે. ૧૮મીથી ૨૪મી જાન્યુઆરી સુધીના છ દિવસ દરમિયાન અમદાવાદ એપીએમસીમાં આદુના ક્વિન્ટલ દીઠ સરેરાશ ભાવ રૂા. ૩૨૦૦થી ૩૯૦૦ રહ્યા છે
હોલસેલના વેપારીઓના ચાર ટકાથી વધુ નફો કરવાની છૂટ ન હોવા છતાંય બેફામ નફો રળી રહેલા વેપારીઓ
આમ હોલસેલ અને છૂટક માર્કેટ વચ્ચેના ગાળો મોટો છે. તેથી ખેડૂતોને સૌથી મોટો ફટકો પડી રહ્યો છે. આ સ્થિતિ વર્ષોથી પ્રવર્તે છે. ખેડૂતોની હમદર્દ હોવાનો સતત દાવો કરતી સરકાર આ મોરચે કોઈ જ પગલાં લેતી નથી. રિઝર્વ બેન્કે તૈયાર કરેલા અહેવાલમાં પણ જણાવ્યું છે કે છૂટક બજારમાં વેચાતી ખેત ઉપજની કિંમતમાં માંડ ૩૦થી ૩૫ ટકા જ ખેડૂતોના હાથમાં જાય છે. આ હકીકત ઉપરોક્ત ઉદાહરણ પરથી ફલિત થાય છે. ખેડૂતોને તેમની ઉપજના વધુ ભાવ અપાવવાના સરકારના દરેક પ્રયાસોને વેપારીઓ નાકામિયાબ બનાવી રહ્યા છે.
ખેડૂતોના કરમની કઠણાઈ એ છે કે પાંચથી છ મહિના સુધી મહેનત કર્યા પછી અને તેને માટે પોતાના નાણાંનું રોકાણ કર્યા પછી ખેડૂતને એક કિલોના રૂા. ૩૨થી ૩૬ મળે છે. થોડા દિવસ પૂર્વે ફૂલાવરના ક્વિન્ટલદીઠ ભાવ પણ રૂા. ૬૦૦થી ૮૦૦ના હતા. આમ ખેડૂતોને કિલોદીટ રૂા.૬થી ૮ મળ્યા હતા. ફુલાવરના પૂરતા ભાવ ન મળતા ઢોરને ફુલાવર ખવડાવી દીધા હોવાના કિસ્સા બન્યા છે. પરંતુ આ જ ફુલાવર છૂટક બજારમાં પહોંચે ત્યારે કિલોના રૂા. ૬૦થી ૮૦માં વેચાય છે. પખવાડિયા પહેલા ખેડૂતોને જે ફૂલાવરના કિલોદીઠ રૂા. ૬થી ૮૦ના ભાવ અમદાવાદ કૃષિ ઉત્પન્ન બજારમાં એટલે કે એપીએમસીમાં મળતા હતા તે જ ફુલાવર છૂટક માર્કેટમાં કિલોના રૂા. ૯૦થી ૮૦ના ભાવે વેચાતું હતું. આમ છ મહિના મહેનત કરનાર ખેડૂતના માત્ર છથી આઠ રૂપિયા અને છ કલાક કામ કરનાર વેપારીને રૂા. ૨૦ અને છથી આઠ કલાક લારી લાવીને ફરનારા કાછિયાને કિલોદીઠ રૂા. ૩૦થી ૫૦ મળે છે. આદુની ખેતી કરનારા ખેડૂતોની પણ આ જ સ્થિતિ છે. આ બજારની સ્થિત ખેડૂતોને સદંતર અન્યાયકર્તા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સહકારિતા મંત્રી અમિત શાહ ખેડૂતોના હિતમાં પગલાં લઈ રહ્યા છે. તેમની આવક બમણી થાય તેના માટેના ગાણાં છેલ્લા દસ વર્ષથી ગાઈ રહ્યા છે. હા, ખેડૂતોની આવક થોડી ગણી વધી પણ છે. પરંતુ ઘર વપરાશની ચીજ વસ્તુઓના ભાવમાં જે વધારો છૂટક બજારમાં જોવા મળી રહ્યો છે તેની તુલનાએ ખેડૂતોને મળતી આવક બહુ જ નજીવી છે.
આજેય સરકારના સો પ્રયત્નો છતાંય જગતનો તાત કે જગતને અનાજ પૂરું પાડનાર ખેડૂત લાચાર છે. તેની મહેન મહેનત પ્રમાણેનું વળતર તેને મળતું નથી. એપીએમસીના વેપારીઓને તો માત્ર ચાર ટકા નફો ચઢાવીને વેચવાનો અધિકાર આપવામાં આવ્યો છે. તેમ છતાં આ વેપારીઓ કેમ ફૂલી ફાલી રહ્યા છે અને તગડાં બની રહ્યા છે. તેની સામે જગતના તાત ગણાતા ખેડૂતની સમૃદ્ધિમાં કેમ વધારો થતો નથી. સરકારે આ માટે નક્કર આયોજન કરવું જોઈએ. એકપગલું ખેડૂતોને દરેક શહેરોમાં ખાલી પ્લોટ પર તેમના પ્રોડક્ટ્સ વેચવાનો અધિકાર આપી દેવો જોઈએ. આ પ્લોટની સાફ સફાઈનો રોજનો ખર્ચ નીકળી જાય તેટલો ચાર્જ તેમની પાસે લેવો જોઈએ.