ગોંડલ પંથકના ખેડૂતે છ લાખના રૂ. 28 લાખ ચૂકવ્યા છતાં ધમકી
15-01-2025

વાછરા ગામના વ્યાજખોર સામે ફરિયાદ
ગોંડલ તાલુકાના વાછરા ગામે રહેતા ખેડૂતને અગાઉ પૈસાની જરિયાત પડતા રૂા. ૬ લાખ વ્યાજે લીધા હતા. જેના બદલામાં રૂપિયા ૨૮ લાખ ચૂકવી દીધા હોવા છતાં કાળુભાઇ એ વધુ રૂા. ચાર લાખની માંગણી કરી ધમકીઓ આપતા પોલીસના લોક દરબારમાં રજૂઆત કરી હતી. જેથી તાલુકા પોલીસે તાકીદે ગુનો નોંધી વ્યાજખોર શખસને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ખેડૂતનાં પુત્રને રસ્તામાં આંતરીને રૂા. ૪ લાખની પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોર શખ્સની ધરપકડ કરીને કાર્યવાહી
વિગતો મુજબ ગોંડલ તાલુકાના વાછરા ગામે રહેતા બટુકભાઈ નાનજીભાઈ જેતાણી (ઉ.વ૬૭) દ્વારા ફરિયાદમાં આરોપી તરીકે વાછરા ગામે રહેતા કાળુ ધનાભાઈ ભુંડિયાનું નામ આપ્યું છે. જેમાં જણાવ્યું હતું કે, તે હાલ ખેતીકામ કરે છે. અગાઉ વર્ષ ૨૦૧૬માં તેમણે જીઇબીનો કોન્ટ્રાકટ રાખ્યો હોય તેમાં પૈસાનું રોકાણ કર્યું હતું. પરંતુ બિલ મંજૂર થવામાં વાર લાગતા આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમણે ગામમાં જ રહેતા કાળુભાઈ ભુંડીયા પાસેથી રૂા. ૬ લાખ વ્યાજે આપ્યા હતા. જેનું મહિને રૂા. ૭૨,૦૦૦ વ્યાજ ચૂકવતા હતા. પાંચ વર્ષ સુધી આ વ્યાજની રકમ ભરી હતી અને કુલ ૨૮ લાખ ફરિયાદીએ ચૂકવી દીધા હતા.
દરમિયાન થોડા દિવસ પૂર્વે પુત્ર વિશાલને વાછરા ગામમાં ખરડા રોડ પર કાળુભાઈ ભૂંડિયા મળ્યો હતો અને કહ્યું હતું કે, તારા પિતાજીએ હજુ સુધી વ્યાજ આપ્યું નથી અને હજુ તમારે ચાર લાખ આપવાના છે. તેમ કહી ધાક-ધમકી આપવા લાગ્યો હતો અને ધમકીઓ આપી હતી. જે અંગે પોલીસ દ્વારા વ્યાજખોરી અંગેનો લોક દરબાર યોજાયો હોય, જેમાં ખેડૂતે પોતાની આ ફરિયાદ જણાવતા આ મામલે તાલુકા પોલીસે તાકીદે ગુનો નોંધ્યો હતો. તાલુકા પોલીસની ટીમે આરોપી કાળુ ધનાભાઈ ભુંડિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.