મગફળીના ભાવ 10 દિવસથી સ્થિર છતાં સિંગતેલમાં રૂ 50 નો વધારો
19-02-2025

ગુજરાતમાં છેલ્લા અંદાજ મૂજબ 51 લાખ ટનનો વિક્રમી પાક
મગફળીના ભાવ ખેડૂતોને ઘણા સમયથી પ્રતિ ૨૦ કિલોના રૂા.૯૩૦-૧૨૨૦ મળી રહ્યા છે, માર્કેટ યાર્ડમાં ગત દસ દિવસથી આ ભાવમાં કોઈ વધારો થયો નથી આમ છતાં સિંગતેલ પ્રતિ ૧૫ કિલોના ભાવમાં રૂ।.૫૦નો વધારો ઝીંકી દેવાયો છે. આ ઉપરાંત કપાસના ભાવ પણ નીચા પ્રતિ મણ મહત્તમ રૂ।. ૧૫૦૦થી નીચા રહેવા છતાં કપાસિયા તેલના ભાવમાં પણ દસ દિવસમાં રૂ।.૪૫નો વધારો ઝીંકાયો છે. આયાતી પામતેલના કે જેનો ઉપયોગ ઘરેલુ વપરાશમાં નહીં પણ પેકડ ફૂડના ઉત્પાદકો મોટા જગ્યામાં કરે છે તેના ભાષ પણ વધ્યા છે.
કપાસના ભાવ પણ સ્થિર છતાં કપાસિયા તેલમાં ૪૫નો વધારોઃ ખાદ્યતેલોમાં કૃત્રિમ વધઘટ સટ્ટાખોરીના કારણે હોવાની શંકા
ગુજરાતમાં દર વર્ષે અગાઉ ૩૦ લાખ ટન મગફળી પાકતી તેના બદલે ગત ત્રણ વર્ષોથી ખૂબ સારા વરસાદના કારણે મગફળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થયું છે. ગત વર્ષ ઈ.સ.૨૦૨૩-૨૪માં ૪૯.૪૬ લાખ ટન બાદ આ વર્ષ ઈ.સ. ૨૦૨૪-૨૫માં છેલ્લા દ્વિતીય અંદાજ મૂજબ પણ રાજ્યમાં વિક્રમી પર.૭૨ લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું છે. આમ, મગફળીની સાથે સિંગતેલનું ઉત્પાદન પણ વધ્યું છે. વળી, હેક્ટર દીઠ ઉપજ પણ સારી મળી છે. જેના કારણે લોકોને ત્રણ વર્ષ બાદ આ વર્ષે સિંગતેલ વાજબી ભાવે મળી રહ્યું છે. જ્યારે ખેડૂતોને ઓછા ભાવ મળતા સરકારે મગફળીની આ વર્ષે વધારે ખરીદી ટેકાના ભાવે કરી છે. ઉલ્લેખનીય છે કે ટેકાના ભાવ બજારભાવથી ઉંચા છે.
ખાદ્યતેલોમાં ભાવની કૃત્રિમ વધઘટ માટે સટ્ટાખોરી થતી હોવાની શંકા જાગી છે. વેપારી સૂત્રો અનુસાર છૂટક બજારમાં હાલ કોઈ તેજી નથી, વળી લોકોએ જથ્થાબંધ ખરીદી પણ ઘટાડી છે, તેલીબિયાના સપ્લાયની કોઈ તંગી નથી છતાં કોઈ દેખીતા કારણ વગર તેલબજાર જાણે કે શેરબજાર બની ગઈ હોય તેમ રોજ ભાવમાં ફેરફાર અને હાલ વધારો થઈ રહ્યો છે.