ખરીફ ઋતુના વાવેતર સમયે બિયારણ, જંતુનાશક દવા અને ખાતરની ખરીદી અંગેની માર્ગદર્શિકા
1 દિવસ પહેલા

વાવેતરને લઈ દરેક સચોટ માહિતી અહીં જાણો
તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ, જંતુનાશક દવા અને ખાતરની ખરીદી કરતી વખતે અત્રે જણાવ્યા અનુસાર તકેદારીઓ/ કાળજીઓ રાખવા અંગે અનુરોધ કરવામાં આવ્યો છે. જે અન્વયે, બિયારણ, જંતુનાશક દવા અને ખાતરની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા માન્ય અને સુપરિચિત ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો.
બિયારણ, જંતુનાશક દવા અને ખાતરની ખરીદી સમયે વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, જાત, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું સહી સાથેનું પાકું બિલ અવશ્ય લેવું.
બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ? તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થઈ ગઇ હોય તો તેવા બિયારણોની ખરીદી કરવી નહીં.
ખાતર કે જંતુનાશક દવાના વેચાણ સાથે બીજી કોઈપણ પ્રકારની ખેત સામગ્રીની ફરજિયાતપણે ખરીદી કરવાનો અનુરોધ કર્ત, આગ્રહ કે ફરજ પાડતા વિક્રેતાઓ પાસેથી ખાતર કે જંતુનાશક દવાની ખરીદી કરવી નહિ અને તાત્કાલિક રીતે આ અંગે સંબંધિત તાલુકાના ખેતીવાડી અધિકારીશ્રીને જાણ કરવી.
મહતમ વેચાણ કિંમત (છાપેલી કિંમત) કરતા ઊંચા ભાવે કોઈપણ સંજોગોમાં બિયારણોની ખરીદી કરવી નહીં. કોઈપણ પ્રકારનું હલકી ગુણવત્તાવાળા અનઅધિકૃત બિયારણ, જંતુનાશક દવા અને ખાતર કે ભળતા નામથી લોભામણી જાહેરાતો અને સસ્તા ભાવોની લાલચ આપતા તત્વોથી ભરમાવું નહિ કે એવી લોભ લાલચમાં આવવું નહીં.
કોઈપણ બિયારણો ખરીદતા સમયે થેલી/ પેકેટ પર બિયારણ અંગે છાપવામાં આવેલી વિગતો ધ્યાનપૂર્વક વાંચીને તેમાં દર્શાવેલ જાત અને તેની આનુવંશિક અને ભૌતિક શુધ્ધતાની ટકાવારી વગેરે બાબતો ખાસ તપાસીને લેવા જોઇએ.
કોઈપણ સંજોગોમાં કોઈપણ પાક, કોઈપણ જાતના બિયારણો સીલબંધ પેકેટ/ થેલી સિવાય ખુલ્લા કે છુટ્ટા બિયારણોની ખરીદી કરવી જોઇએ નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારા ધોરણો દર્શાવેલ ન હોય તેવા “૪જી” અને “૫જી” જેવા જુદા જુદા નામે વેચાતા અનઅધિકૃત બિયારણોની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં.
બિયારણોમાં સરકારી સબસીડી ફક્ત ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડના અધિકૃત વિક્રેતાઓ અને ખેતીવાડી ખાતા મારફત જ આપવામાં આવતી હોય કોઈપણ વિક્રેતા/ કંપની દ્વારા સબસીડીની લાલચ આપવામાં આવે તો તેમાં ભરમાવું નહીં.
વાવણી કર્યા બાદ ખરીદી કરેલા બિયારણનું ખાલી પેકેટ/ થેલી, તેનું બિલ અને થેલી પરની ટેગો વગેરે સાચવીને રાખવા જોઇએ. જેથી વાવણી કર્યા બાદ બિયારણ બાબતે કોઈ ફરિયાદ ઉદભવે તો વેચાણ કરનાર વિક્રેતા કે ઉત્પાદક સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં તે ઉપયોગી રહે.
કોઈપણ લેભાગુ તત્વો નબળી ગુણવત્તાનાં બિયારણ, જંતુનાશક દવા અને ખાતર વેચતા હોવાનું જો ધ્યાનમાં આવે અથવા ઉક્ત બાબતો અંગે જો કોઈ રજૂઆત કે સંશય હોય તો તાત્કાલિક રીતે સંબંધિત તાલુકાના ખેતીવાડી અધિકારીશ્રી, એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટરશ્રી, અથવા મદદનીશ ખેતી નિયામકશ્રી (ગુ.નિ.), નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ)- જૂનાગઢ એસ.એમ.ગધેસરીયાનો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
અત્રે જણાવેલી તમામ બાબતોની જૂનાગઢ જિલ્લાના તમામ ખેડૂતોએ આગમી ખરીફ ઋતુ માટે બિયારણો ખરીદતી વખતે તકેદારી લેવા માટે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)- જૂનાગઢ શ્રી એસ.એમ.ગધેસરીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.