ખેડૂતો માટે કમોસમી વરસાદને પગલે માર્ગદર્શિકા જાહેર કરાઇ

31-01-2025

Top News

તકેદારીના પગલા લેવા માટે તમામ ખેડૂતોને અનુરોધ

રાજ્યના હવામાન ખાતાથી મળેલ માહિતી અનુસાર આગામી તારીખ ૦૨/૦૨/૨૦૨૫ થી ૦૪/૦૨/૨૦૨૫ સુધી મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે અત્રે જણાવ્યા અનુસાર તકેદારીના પગલા લેવા માટે તમામ ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે.

કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલો પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી. તેને પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું જોઈએ અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવીને વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.

જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે રીતે ગોડાઉનમાં સુરક્ષિત રીતે મૂકવા જોઈએ. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. તેમજ વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત જગ્યાએ તેનો સંગ્રહ કરવો જોઈએ.

આ અંગે વધુ જાણકારી મેળવવા માટે મોરબી જિલ્લાના ખેડૂતો ગ્રામ સેવકશ્રી, વિસ્તરણ અધિકારીશ્રી, તાલુકા અમલીકરણ અધિકારીશ્રી, મદદનીશ ખેતી નિયામકશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામકશ્રી તાલીમ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર– ૧૮૦૦૧૮૦૧૫૫૧ પર સંપર્ક સાધી શકશે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates