ગુજરાત: લઘુત્તમ ટેકાના ભાવે પ્રતિ ક્વિન્ટલ રૂ 2425 લેખે ઘઉંની ખરીદી કરાશે
19-01-2025

નોંધણી નહીં કરાવી હોય તે ખેડૂતોને લાભ નહીં મળે
ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ‘રવિ માર્કેટીંગ સિઝન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ રૂ. ૨૪૨૫ના ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવનાર છે. આ માટે અત્યાર સુધીમાં ૩૩૮૬૩ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે.
રાજ્યમાં ૧લી માર્ચથી ૨૧૪ ખરીદ કેન્દ્રો દ્વારા ઘઉં ખરીદાશે, અત્યાર સુધી ૩૩૮૬૩ ખેડૂતોએ નોંધણી કરાવી
રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૯ અંતર્ગત ૧લી માર્ચથી ઘઉંની ખરીદી કરવામાં આવશે. જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા ૧૯૪ ખરીદ કેન્દ્રો અને જે જિલ્લાઓમાં વધારે નોંધણી થઈ હોય અને ગોડાઉન ખાતે પૂરતી સંગ્રહશક્તિ ઉપલબ્ધ ન હોય તેવા જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ APMC ખાતે ૨૦ નવા ખરીદ કેન્દ્રો ઉભા કરવામાં આવશે.
હરજિયાત ઓનલાઇન નોંધણી માટે ખેડૂતની આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭/૧૨, ૮-અની નકલ, ગામ નમૂના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જેવા જરૂરી પુરાવા સાથે રાખવાના રહેશે.
ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાર્યોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે.
ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ પણ કરવામાં નહીં આવે. ૨૦૧૭થી નિગમના પોર્ટલ પર નોંધણી કરાવેલા ૨.૫૮ લાખ ખેડૂતોને ટેકાના ભાવે ઘઉંની ખરીદી અંગેની માહિતી મેસેજ મારફતે મોકલાય છે.