બે યુવા ખેડૂતો માટે હૃદયરોગનો હુમલો જીવલેણ સાબિત થયો

01-04-2025

Top News

જામનગર જિલ્લાના કાલાવડ પંથકનો બનાવ

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં બે ખેડૂત યુવાનોના પરિવારમાં આભ ફાટી પડયું છે. ૪૫ વર્ષ જેવી યુવાન વયે ખાનકોટડા તેમજ મકાજી મેઘપર ગામના બે ખેડૂત યુવાનોના હાર્ટ એટેકના કારણે મૃત્યુ નીપજતાં ભારે અરેરાટી ફેલાઈ છે.

ખાનકોટડા તથા મકાજી મેઘપર ગામે બનાવ

સૌપ્રથમ બનાવ કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં બન્યો હતો. જ્યાં રહેતા રામદેવસિંહ નીતુભા જાડેજા નામના ૪૫ વર્ષના ખેડૂત યુવાનને છાતીમાં દુખાવો ઉપડયા બાદ તેને સારવાર માટે પડધરીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યાં તેનું હાર્ટ ફેઇલ થઈ જવાના કારણે મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ વનરાજસિંહ નીતુભા જાડેજાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

બીજો બનાવ કાલાવડના ખાનકોટડા ગામમાં બન્યો હતો. ત્યાં રહેતા અરવિંદસિંહ જામભા જાડેજા નામના ૪૫ વર્ષના ખેડૂત યુવાનને પણ પોતાની વાડીએ એકે છાતીમાં દુખાવો ઉપડયા બાદ ચક્કર આવતાં સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેનું પણ હાર્ટ ફેઇપલ થઈ જતા મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. બનાવ અંગે મૃતકના નાનાભાઈ રણજીતસિંહ જામભા જાડેજા એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates