IFFCO ના ભાવ વધારાથી ગુજરાતના ખેડૂતો પર રૂ.350 કરોડનો બોજો

18-01-2025

Top News

અચાનક વધારી દીધા ખાતરના ભાવ

એક તરફ ગુજરાતનો ખેડૂત વિવિધ કુદરતી આફતો સામે પાકને બચાવવા ઝઝૂમી રહ્યો છે. ત્યારે ઈક્ફોના ખાતરમાં એકઝાટકે તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. 

જગતના તાત ખેડુતોના ખેતીપાક માટે જીવાદોરી સમાન એનપીકે ખાતરની ૫૦ કિલોની એક ગુણ પર ઇફકો દ્વારા સીધો ૨૫૦ નો વધારો ઝીંકી દેતા દક્ષિણ ગુજરાતમાં ખેતી પકવતા ખેડુતોના માથે વર્ષે દહાડે ૨૦ કરોડથી વધુ તથા રાજયના ખેડુતોના માથે ૩૫૦ કરોડથી વધુનો બોજો પડશે. ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, આ ભાવ વધારો ખેડૂતો માટે આત્મઘાતી નિવડશે. ખાતરની જરુર છે ત્યારે જ સરકારે ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે, આ ભાવ વધારાથી ખેડૂતો દેવાદાર બની જશે. 

કેન્દ્વ સરકાર દ્વારા અલગ અલગ ખાતર પણ અલગ અલગ સબસીડી આપવામાં આવે છે. જેમાં ૫૦ કિલોની એક યુરીયાની ગુણ પર રૂ.૧૮૯૦, ડીએપીની એક ગુણ પર રૂ.૧૦૫૦ અને એનપીકેની એક ગુણ પર રૂ.૭૪૦  સબસીડી આપવામાં આવે છે. આમ જે ખાતરનો સૌથી વધુ ઉપયોગ થાય છે તે એનપીકે ખાતર પર સૌથી ઓછી સબસીડી આપવામાં આવતી હોવાથી ખેડુતો નારાજ છે. આ ખાતર પર પણ સબસીડી વધારવી જોઇએની ખેડુતો માંગ કરી રહ્યા છે.

ઈફ્કોએ કર્યો ભાવ વધારો
એનપીકે ખાતરનું ઉત્પાદન કરતી ઈફ્કો (ઇન્ડિયન ફાર્મસ ફર્ટિલાઇઝર કો-ઓપરેટીવ લિમિટેડ) દ્વારા એનપીકેના ભાવમાં વધારો જાહેર કરાયો છે. અત્યાર સુધી ખેડુતોને એનપીકેની 50 કિલોની એક ગુણ 1470 રૂપિયામં મળી રહેતી હતી. તેને બદલે હવે તેઓને 250 રૂપિયા વધારે ચૂકવવા પડશે. ત્યારે 50 કિલોની બોરીનો ભાવ 1720 રૂપિયા કરી દેવાયો છે. 

એનપીકે ખાતર પર ભાવ વધારો
એનપીકે ખાતરનો ઉપયોગ ગુજરાતના અનેક જિલ્લાઓમાં થાય છે. જેથી ઈફ્કોના ભાવવધારાને કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર સીધો 20 કરોડનો બોજો ઝીંકાશે. તો રાજ્યભરના ખેડૂતોના માથે 350 કરોડનો ભાર વધશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના એ ખેડૂતો જેઓ ડાંગર અને ખેતીનો પાક પકવે છે, તેના માટે એનપી ખાતર અતિમહત્વનું છે. 

ખેડૂતોમાં ભાવ વધારાથી આક્રોશ
રાજ્યના ખેડૂતોને ઇફ્કોએ મોટો ઝટકો આપ્યો છે. ઇફ્કોએ રાસાયણિક ખાતરમાં પ્રતિ 50 કિલોની બેગમાં 250 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. NPK 102626ના ભાવમાં રૂપિયા 250 તો NPK 123216ના ભાવમાં રૂપિયા 250નો વધારો કરવામાં આવ્યો છે. રાસાયણિક ખાતરમાં ભાવ વધારો થતા ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે. ખેડૂતો માટે આ ભાવ વધારો કમરતોડ છે. ખેડૂતોની આવકમાં મોટો ઘટાડો થશે, ખાતર પરનો ભાવ વધારો ખેડૂતોને પોસાય તેમ નથી. 

એક ખેડૂત અશોક ચૌધરીએ કહ્યું કે, ખાતરમાં આ ભાવ વધારો ખેડૂતોની કફોડી હાલત કરશે ,ખેડૂત ખેતી કેવી રીતે કરશે એજ સમજાતું નથી. અન્ય ખેડૂત વિજય પટેલે કહ્યું કે, કોઈ ચીજવસ્તુઓમાં 20 ટકા ભાવ વધતો નથી અને ખાતરમાં 250 રૂપિયા એટલે કે 20 ટકા ભાવ વધારી દે.શે ખેડૂતોને મારવા બેઠા છો કે શું ખેડૂત ક્યાં જાય ખેતી કરે કે છોડી દે. અમારે એક બાજુ દેવું કરીને ખેતી કરવી પડે છે અને બીજું બાજુ 250 રૂપિયા ખાતરમાં ભાવ વધારી દેવાનો. અન્ય ખેડૂત પાંચાભાઈ દેસાઈનું કહેવું છે કે, ખેડૂતને ખેતી કરવી પહેલેથી જ મુશ્કેલ છે દવાઓ, બિયારણ મોંઘા અને ખાતર પણ મોંઘુ છે અને તેમાંય 250 રૂપિયા વધારી દેવાના ઉલ્ટાના ભાવ ઓછા કરવા પડે પણ અહીં ખેડૂતનું કોઈ જોતું જ નથી.

ખેડૂત સરકારી વિરોધી છે - વિપક્ષ
રાસાયણિક ખાતરના ભાવમાં 250 રૂપિયાના વધારા મામલે શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યાં. તેમણે કહ્યું કે, આ સરકાર ખેડૂત વિરોધી સરકાર છે. મત જોઈતા હતા ત્યારે એમ કહ્યું કે ખેડૂતોની આવક ડબલ કરીશું. તેની જગ્યાએ ખેડૂતોના ખર્ચ ડબલ થયા છે. GSTનું મારણ અને પડ્યા પર પાટુ રાસાયણિક ખાતરમાં વધારો ખેડૂત માટે છે. આ ભાવ વધારો ખેડૂતો માટે સાંખી લેવાય એમ નથી. 

ખેડૂતોને ખોટા વચન આપ્યા - કોંગ્રેસ
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું કે, ખેડૂતોને મોટા વાયદા અને વચનો આપ્યા આવક બમણી કરવાની વાત કરી સત્તા પર આવ્યા. ખેડૂતને પાયમાલ કરી દેવામાં આવ્યો છે. ખાતર બિયારણ મજૂરી વીજળી મોંઘી કરી દીધી. ખેડૂતોના ઉત્પાદનના ભાવ બમણાં થયા નથી. એનપીકે ખાતર ૧૪૫૦ રૂપિયા હતા તે ૧૭૨૦ કર્યા છે. ગુજરાત માં ૭ લાખ મેટ્રિક ટન ખપત છે. સ્પષ્ટ દેખાય છે કે ખેડૂતોએ ખેતી છોડી દેવી પડશે. ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે. ઉદ્યોગપતિઓના દેવા માફ થાય છે, પણ ખેડૂતોને સહાય નથી મળતી. ખેડૂતોને ખતમ કરવાની નીતિ સામે કામ કરે છે. સરકાર ખેડૂતોની સહાય માટે સબસિડીમાં વધારો કરવાની માંગ છે.

ખેતીપાક માટે જરૃરી એવા ખાતરોમાં ખેડુતો સૌથી વધુ એનપીકેનો જ ઉપયોગ કરે છે. કેમકે ખેતીપાકના ઉત્પાદન માટે જરૃરી એવા તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ આ બધુ જ આ એક ખાતરમાં આવી જાય છે. 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates