તાલાલામાં 200 ગાયો માટે 46 લાખના ખર્ચે બનેલી ગૌશાળાનું લોકાર્પણ
29-04-2025

હિંદુ-મુસ્લિમ સમાજનાં સંયુક્ત યોગદાનથી
અહીં હિંદુ મુસલિમ સમાજના સંયુક્ત યોગદાનથી ૪૬ લાખના ખર્ચે અઢી વીઘા જમીનમાં ૩૩ શેડ સાથે નિર્માણ પામેલી ૨૦૦ ગાયો મટેની ગૌશાળાનું લોકાર્પણ જાણીતા કથાકારના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ૨૫૦૦ લોકોએ સમૂહમાં પ્રસાદ લીધો હતો.
ગાયો માટે લાઈટ, પંખાની સવલત, લોકાર્પણ પ્રસંગે ૨૫૦૦ લોકોએ સમૂહમાં પ્રસાદ લીધો
તાલાલા નગરની પાંચ દાયકા જૂની ગૌશાળાની કાયા પલટ કરવાનાં શુભસંકલ્પ સાથે શહેરમાં વસવાટ કરતા તમામ સમાજ દ્વારા ગૌશાળામાં શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ હતી. ગૌસેવા કાર્ય માટે નગરમાં વસવાટ કરતા હિન્દુ મુસ્લિમ તમાંમ પરિવારોએ ઉમળકાભેર રૂ. ૬૫ લાખ ૪૮ હજારની ધનવર્ષા કરતા ગૌમાતા માટેના દાનની ઝોળી છલકાઈ ગઈ હતી.એકત્ર થયેલ દાનમાંથી નિર્માણ થયેલ નવનિર્મિત ગૌશાળામાં ગૌમાતાના રહેઠાણ માટે લાઈટ, પંખા સાથેના ૩૩ શેડ, પીવાનાં પાણી માટે બે અવેડા, ઘાસચારા માટે અઘતન ગોડાઉન તથા
૩૦ હજાર ચો. ફુટથી વધારે ગૌશાળાના પરિસરમાં થાન ની પડદી થી તળીયું મઢવાનું કામ, પરીક્રમા માર્ગ સાથે ગૌશાળામાં તમાંમ સવલતો ઉભી કરવામાં આવી છે. અત્યારે શહેરની ૨૦૦ જેટલી ગૌમાતા ગૌશાળામાં નિવાસ કરે છે. આગામી દિવસોમાં આવનાર ગૌ માતાનો પણ આ ગૌશાળા નિવાસ બનશે.
તાલાલા શહેરના તમામ પરિવારોના ગૌરવરૂપ ગૌશાળા નું સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર ડો.મહાદેવપ્રસાદ મહેતાએ લોકાર્પણ કર્યું હતું. આ તકે ૨૫૦૦ હિંદુ મુસ્લીમ ગૌપ્રેમી ભાવિકોએ એક જ પંગતે બેસી પ્રસાદ ગ્રહણ કર્યો હતો.