સરહદે બાંગ્લાદેશી ખેડૂતો પાક ચોરી જતા હોવાથી ભારતીય ખેડૂતો વિફર્યા

19-01-2025

Top News

બન્ને દેશના ખેડૂતો કલાકો સુધી સામસામે આવી ગયા

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલા હુમલાની અસર ભારત અને બાંગ્લાદેશ સરહદે પણ જોવા મળી રહી છે. બાંગ્લાદેશ અને ભારતની સરહદે બન્ને દેશોના ખેડૂતો વચ્ચે સામસામે ઘર્ષણ જોવા મળ્યું હતું. જોકે બીએસએફ અને બીજીબી સુરક્ષા દર્બોના જવાનોએ સરહદે ખેડૂતો વચ્ચેનો વિવાદ શાંત પાડયો હતો.

બીએસએફના જવાનોએ મામલો શાંત પાડયો, પાક ચોરીની ફરિયાદનો ઉકેલ લાવવાની ખાતરી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવેલી બંગાળની માલદાની સુકદેવપુર બોર્ડર આઉટપોસ્ટ વિસ્તારમાં બાંગ્લાદેશી ખેડૂતો ભારતીય ખેડૂતોનો પાક ચોરી જતા હોવાનો આરોપ લગાવાયો હતો. જે બાદ ભારતીય ખેડૂતોએ આ મુદ્દે બાંગ્લાદેશી ખેડૂતો સાથે વાત કરી હતી, જે દરમિયાન જ બન્ને વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો અને ખેડૂતો સામસામે આવી ગયા હતા. આ વિસ્તારમાં તાર ફેન્સિંગનું કામ હાલ શરૂ કરાયું હતું જેને થોડા સમય માટે અટકાવી દેવાયા બાદ ફરી તાર ફેન્સિંગ કરાઈ રહી છે. બન્ને દેશોના જવાનોએ ખેડૂતોને શાંત પાડ્યા હતા અને મામલો થાળે પાડયો હતો. બાદમાં બીએસએફએ એક નિવેદન જાહેર કરીને ખેડૂતોને કહ્યું હતું કે પાકની ચોરીનો કે ખેતી સાથે સંકળાયેલો સરહદનો કોઇ પણ મામલો હોય તો તેને બીએસએફ સમક્ષ ઉઠાવવામાં આવે તેનું નિરાકરણ લાવવામાં આવશે.

ખેડૂતો વચ્ચેનો વિવાદ તો શાંત થઈ ગયો હતો પરંતુ બાંગ્લાદેશ સરહદે કેટલાક લોકો નજીક પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેને બાંગ્લાદેશી સુરક્ષાદળોએ અટકાવીને પરત મોકલ્યા હતા. હાલમાં બાંગ્લાદેશમાં શેખ હસીનાના શાસનના અંત બાદ ત્યાં હિન્દુઓ પર હુમલા વધી ગયા છે. આ સ્થિતિ વચ્ચે ભારત હાલ બાંગ્લાદેશની ખુલ્લી સરહદે તાર ફેન્સિંગ કરાવી રહ્યું છે. એવામાં બાંગ્લાદેશી ખેડૂતો ભારતીય ખેડૂતોના પાકની ચોરી કરી રહ્યા હોવા મુદ્દે હાલ સરહદે વિવાદ જોવા મળ્યો હતો.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates