આતંરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ઃ ગુજરાતે ભુજંગાસન કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ માં સ્થાન મેળવ્યું
4 કલાક પહેલા

CM ભૂપેન્દ્ર પટેલ વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરી ઉજવણી
- ભારતના ઋષિ-મુનિઓની સમગ્ર માનવજાતને ભેટ સમાન યોગવિદ્યાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ મળી.
- યોગ દ્વારા માનસિક અને શારીરીક સ્વાસ્થ્ય સાથે સંપુર્ણ આધ્યાત્મિક વિકાસ થાય છે
- સંસ્કૃતિનું સન્માન અને વિરાસતના ગૌરવ સાથે મેદસ્વિતા મુક્ત ગુજરાત -સ્વસ્થ ગુજરાતનો સામુહિક સંકલ્પ સાકાર કરવાની નેમ.
- યોગની પ્રાચીન પરંપરા જનઆંદોલન બનીને વિકસિત ભારત @ ૨૦૪૭ માટે વિકસિત સ્વસ્થ, સમૃદ્ધ અને તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ કરશે
- આજના તણાવયુક્ત જીવનમાં યોગ શારીરિક અને માનસિક સ્વસ્થતા માટેનું ચાલકબળ છે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશાખાપટ્ટનમ ખાતેથી યોગ દિવસ અવસરે કરેલા પ્રેરક સંબોધનનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ અનંત અનાદિ વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની "Yoga for One Earth One Health" અને "સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત" થીમ સાથે રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ વર્ષના યોગ દિવસે વડનગરના ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતે ૨૧૨૧ યોગ સાધકોના એક સાથે ભુજંગાસન દ્વારા નવો કિર્તીમાન પ્રસ્થાપિત કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ માં સ્થાન મેળવ્યું છે.
મુખ્યમંત્રીના દિશાદર્શનમાં આ અગાઉ પણ ગુજરાતે ૨૦૨૩માં ૯મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સુરત ખાતે એક સાથે ૧.૫૦ લાખ લોકોની સામૂહિક યોગ સાધનાનો વિક્રમ અને ૧લી જાન્યુઆરી ૨૦૨૪ એ એક સાથે ૧૦૮ સ્થળોએ ૫૦ હજાર લોકો દ્વારા સામૂહિક સુર્યનમસ્કારનો વર્લ્ડ રેકર્ડ રચીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મેળવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગર ખાતેના આ યોગ દિવસ ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં લોકો સાથે યોગાસનો કરીને સહભાગી બન્યા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મહેસાણા જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ અને ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ શિશપાલ રાજપુત તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓ પણ યોગ સાધકો સાથે સામૂહિક યોગમાં જોડાયા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશાખાપટ્ટનમ ખાતે વિશ્વ યોગ દિવસમાં જોડાઈને દેશ વાસીઓને આપેલા પ્રેરક સંદેશનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે સૌને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, આપણાં ઋષિમુનીઓએ સમગ્ર માનવજાતને આપેલી અમૂલ્ય ભેટ યોગ એ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોને પરિણામે આ પ્રાચીન યોગ સંસ્કૃતિને યુનાઈટેડ નેશન્સ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીથી વિશ્વ ભરમાં સ્વિકૃતી મળી છે.
૨૦૧૫થી દર વર્ષે તા.૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે એ શ્રેણીમાં આ વર્ષે ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે તેની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, યોગ માત્ર વ્યાયામ નથી પરંતુ જીવન જીવવાની કળા છે.યોગ એવું વિજ્ઞાન છે જે આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે એકાગ્રતાથી જોડે છે. યોગ અભ્યાસ દ્વારા તણાવ મુક્તિ થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને જીવનમાં સકારાત્મક્તા આવે છે. એટલું જ નહિ, યોગ આપણને આત્મ-શિસ્ત, સંયમ અને આત્મ-જાગૃતિ શીખવે છે.