ગીરમાં ઈન્ટુઝન ડિવાઈસથી સિંહોની ગતિવિધિ દૂરથી જ ખબર પડી જશે

18-01-2025

Top News

રેલ્વે ઓથોરીટીની કામગીરીનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ

ગીરના જંગલ-અભયારણ્ય ક્ષેત્રમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટે દ્વારા દાખલ કરાયેલી જાહરેહિતની રિટની સુનાવણીમાં આજે રેલ્વે સત્તાવાળાઓ તરફથી સિંહોને બચાવવા અને તેમની સુરક્ષા સંબંધી લેવાયેલા પગલાં અને કામગીરી અંગેનો રિપોર્ટ રજૂ કરાયો હતો. રેલ્વે વિભાગ તરફથી એ પણ સ્પષ્ટ કરાયું હતું કે, આ કેસમાં છલ્લી મુદત બાદ એક પણ સિંહનું ટ્રેન અકસ્માતમાં અકાળે મોત નોંધાયું નથી.

ગીર અભયારણ્ય ક્ષેત્રમાં ફાઈબર કેબલ અને એઆઈની મદદથી ઈન્ટુઝન ડિવાઈસ ઈન્સ્ટોલ કરાશે

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે આ કેસમાં કોર્ટ સહાયક અને રેલ્વે ઓથોરીટીના જવાબને ધ્યાનમાં લીધા બાદ કેસની વધુ સુનાવણી ફેબ્રુઆરી માસમાં મુકરર કરી હતી.

અગાઉ હાઇકોર્ટના નિર્દેશો છતાં ટ્રેનની અડફેટે વધુ બે સિંહોના મોત અને અન્ય બનાવમાં એક સિંહણ અને બે સિંહ બાળના મૃત્યુની ઘટનાને લઈ ચીફ જસ્ટિસે ફોરેસ્ટ અને રેલ્વે સત્તાવાળાઓનો ઉધડો લઈ નાંખ્યો હતો અને તેમનો જવાબ માંગ્યો હતો. દરમ્યાન રેલ્વે ઓથોરીટી દ્વારા સમગ્ર મામલે વિવિધ પગલાં લઈ અસરકારક કામગીરી કરવામાં આવી હતી.

જે અંગેનો રિપોર્ટ રજૂ કરતાં જણાવાયું કે, રેલ્વે વિભાગ દ્વારા ગીર અભયારણ્ય જંગલ વિસ્તારમાં જયાંથી રેલ્વે ટ્રેક પસાર થાય છે તેની બાજુમાં ફાઇબર કેબલ નાંખવામાં આવશે. આ સિવાય આર્ટિફીશીયલ ઇન્ટેલીજન્સની મદદથી ઇન્ડ્રુઝન ડિવાઈઝ ઇન્સ્ટોલ કરવામાં આવશે. જેનાથી સિંહોની ગતિવિધિ ૨૦૦ મીટર દૂરથી જાણી શકાશે. ગીર અભયારણ્ય ક્ષેત્રની અંદર અને બહાર આ ડિવાઇસ નાંખવામાં આવશે. આ તમામ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે, જે તા.૧૦મી ફેબ્રુઆરી સુધીમા પૂર્ણ કરી દેવાશે.

આ સિવાય ગીર અભયારણ્ય વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનો માટે વિશેષરૂપે અંડર પાસ પણ ઉભા કરાયા છે તો, આ વિસ્તારમાં ઝાડી ઝાંખરા દૂર કરી સિંહોની સુરક્ષા માટે વિશાળ ફેન્સીંગની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.

વિદ્યાલયનાં મેદાનમાં ઘૂસીને સિંહે કર્યો વાછરડીનો શિકાર

બીજા કિસ્સામાં ઊનામાં પંચવટી સોસાયટી વિસ્તારમાં આવેલી એક વિદ્યાલયના મેદાનમાં સિંહે ઘુસી આવી વાછરડીનો શિકાર કર્યો હતો. આ ઘટનાથી શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ડર સાથે દોડધામ મચી હતી. વન વિભાગના સ્ટાફે સિંહનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે.

શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ડર સાથે દોડધામ, વનવિભાગ દ્વારા સિંહનું લોકેશન મેળવવા કવાયત

શહેરના પંચવટી સોસાયટી પાસે ભુતળા દાદાના મંદિર નજીક ગાયોનું ટોળુ ઉભેલું હતું ત્યારે અચાનક એક સિંહે આવી ગાયત્રી વિદ્યાલયના ખુલ્લા દરવાજામાં ઘુસી જઈ મેદાનમાં ઉભેલી વાછરડીનો શિકાર કર્યો હતો. ત્યારબાદ સિંહ મેદાનમાં આંટાફેરા કરી શાળાના બિલ્ડીંગના જદાદરા ઉપરચડી ગયો હતો. આ ઘટનાથી શિક્ષકો અને બાળકોમાં ભયનો માહોલ પ્રસર્યો હતો. સદનસીબે વહેલી સવારની ઘટના હોવાથી શાળામાં બાળકો આવેલા ન હતા અને તેમને દરવાજા બહાર જ રહેવાની સુચના અપાઈ હતી. જ્યારે સિંહ બિલ્ડીંગના પાછલા દરવાજેથી નદી કાંઠે બાવળની ઝાળમાં ચાલ્યો ગયો હતો.

આ ઘટનાની જાણ થતા વન વિભાગના કર્મચારીઓએ સિંહનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી હતી. શહેરના ગાયત્રી, આર્શિવાદ, પંચવટીનગર, હરસિધ્ધીનગર સહિતના વિસ્તારોમાં અવાર-નવાર હિંસક વન્યપ્રાણીઓની અવર-જવર રહે છે. તેમાં પણ શાળાના બિલ્ડીંગમાં સિંહ ઘુસી આવતા લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates