આજથી સિંહોની વસ્તી ગણતરીનો પ્રારંભ, 25થી 30 ટકા સંખ્યા વધવાનો સિલસિલો તૂટશે કે જળવાશે
10-05-2025

કોરોનાને લીધે 2020 માં નહોતી થઇ ગણતરી, 10 વર્ષ બાદ સત્તાવાર ગણતરી
તા. ૧૦મીથી ૧૬મી સિંહ વસ્તી ગણતરી અંદાજ શરૂ થવાનો છે. તા. ૧૦મેના બપોરે બે વાગ્યાથી તા. ૧૧ના બપોરે બે વાગ્યા સુધી એટલે કે ૨૪ કલાક પ્રથમ તબક્કાની સિંહ ગણતરી કરવામાં આવશે. ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાના ૩૫ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ૩ હજારથી વધુ વનકમીઓ, સ્વયંસેવકો સિંહ ગણતરી માટે સજ્જ થઈ ગયા છે. દર પાંચ વર્ષે યોજાતી સિંહ ગણતરી સિંહોના મેનેજમેન્ટ પ્લાન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
સિંહોની જંગલ કરતા બહાર વધુ વસ્તી
સિંહ ગણતરીના આંકડા પરથી સ્પષ્ટ સાબિત થાય છે કે જંગલ કરતાં બહારના વિસ્તારમાં સિંહોની સંખ્યા વધુ છે. તેને બૃહદ ગીર તરીકે ઓળખવામાં આવે છે. બૃહદગીરની જાળવણી કરવી તે પણ ખૂબ જરૂરી છે. સરકાર સિંહ માટે કુદરતી જંગલ હવે આપી શકે તેવી સ્થિતિ નથી. જેના કારણે બહારના વિસ્તારને બચાવો જરૂરી બની ગયો છે.
પાંચ વર્ષે યોજાતી સત્તાવાર સિંહની ગણતરી 10 વર્ષ બાદ યોજાવા જઇ રહી છે. વર્ષ ૨૦૨૦માં યોજનાર ગણતરી કોરોનાના કારણે બંધ રાખવામાં આવી હતી. તે ગણતરીમાં પૂનમ અવલોકનના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૦માં વનવિભાગે પૂનમ અવલોકનના આંકડા જાહેર કર્યા હતા તે મુજબ ૬૭૪ સિંહ નોંધાયા હતા. આ વખતે કેટલા સિંહ ગણતરીમાં આવે છે તે ખૂબ મહત્વનું બની રહેશે. અત્યાર સુધીમાં સિંહોની વસ્તી સતત વધતી હોવાના આંકડા નોંધાયા છે. ૨૫થી ૩૦ ટકા વચ્ચે વસ્તી વધતી હોવાનો સિલસિલો વન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યો છે.
વર્ષ ૨૦૨૦માં વન વિભાગે જાહેર કરેલા પૂનમ અવલોકનના આંકડા મુજબ ૬૭૪ સિંહ નોંધાયા હતા
પ્રથમ ગણતરી પૂર્ણ થયા બાદ ૨૪ કલાક તમામ ગણતરીકારોને આરામ આપવામાં આવશે. ત્યારબાદ ફરી તા.૧૨ના બપોરે ૨ વાગ્યાથી તા.૧૩ના બપોરે ૨ વાગ્યા સુધી આખરી ગણતરી કરવામાં આવશે. આ તમામ ગણતરીના આંકડાઓ સાસણ સિંહ સદન ખાતે મોકલી ત્યાં એનાલિસિસ કરવામાં આવશે.એનાલિસિસ થયા બાદ તમામ ગણતરીની વિગતો | સરકારમાં મોકલવામાં આવશે અને સરકાર દ્વારા સત્તાવાર સિંહોની કયા વિસ્તારમાં કેટલી વસ્તી છે તેના આંકડા જાહેર કરવામાં આવશે. દસ વર્ષ બાદ યોજાનાર સિંહોની સત્તાવાર ગણતરી પર સમગ્ર દેશ અને દુનિયાની નજર છે.
સિંહની વસ્તી ગણતરીના અનેક ફાયદાઓ
સિંહોની વસ્તી ગણતરીથી કયા વિસ્તારમાં કેટલા સિંહ કાયમી વસવાટ કરે છે, કેટલાની અવરજવર છે. તેના પરથી આવનારા ભવિષ્યનું પ્લાનિંગ નક્કી થઈ શકે છે. સિંહો માટે કયા વિસ્તારમાં શુંવ્યવસ્થાઓ કરવી ખૂટે છે તે આંકડાઓ પરથી ખૂબ મહત્વનું બની રહેશે.
આવતીકાલથી શરૂ થનાર ગણતરીમાં કુલ 8 રીજીયન, 32 ઝોન, 735 ગણતરી એકમો નક્કી કરવામાં આવ્યા છે. આ ગણતરીમાં આઠ સીસીએફ-સીએફ, 32 ડીસીએફ, સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાશે. સિંહોના સ્પષ્ટ ફોટોગ્રાફ આવી શકે તે માટે 112 જેટલા હાઈરીઝોલ્યુશન કેમેરાઓ આપવામાં આવ્યા છે. જેમાં જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, દ્વારકા, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર જિલ્લાઓના 58 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.