સિંહણે 70 ફૂટ પહોળી, 50 ફૂટ ઊંડી નદીમાં તરી બકરાનો શિકાર કર્યો
24-01-2025

વિસાવદરના વિરપુરની રેર ઓફ ધ રેર ઘટનાં
સિંહ પાણીમાં તરતા નથી તેવી માન્યતાને ખોટો પાડતો કિસ્સો સામે આવ્યો છે. ૭૦ ફુટ પહોળાઈ અને ૪૦થી ૫૦ ફુટ ઉંડાઈ ધરાવતી નદીમાં સામા કાંઠે શિકાર કરવા માટે નદીમાં તરીને સિંહણ ગઈ અને ત્યાં શિકાર કરી પરત નદીમાં તરી આવી ગઈ હતી. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. વન વિભાગના જણાવ્યા પ્રમાણે લોકોમાં માન્યતા છે કે, સિંહ પાણીમાં તરતો નથી પરંતુ આ ઘટનાને ખોટી ઠેરવતો કિસ્સાને રેર ઓફ ધ રેર ઘટના માનવામાં આવી રહી છે.
મારણ સાથે નદીના એકથી બીજા છેડે પહોંચી વનરાણી
વિસાવદર તાલુકાના વિરપુરની નજીક પસાર થતી ઉતાવળી નદીના એક કાંઠે સિંહણ શિકારની શોધમાં લટાર મારતી હતી તેવામાં તેમને નદીના સામા કાંઠે શિકાર નજરે ચડયો હતો. માલધારી પોતાના બકરા ચરાવી રહ્યા હતા ત્યારે નદીના સામા કાંઠેથી પાણીમાં તરીને સિંહણ બકરાની નજીક આવી અને તરાપ મારી બકરાને મોંમાં પકડી પરત નદીમાં ચાલતી થઈ ગઈ હતી. તે નદીના બીજા કાંઠે જઈ બકરાને લઈ બહાર નીકળતી હોવાનો વિડીયો સામે આવ્યો છે.
સિંહ પાણીમાં જતા નથી તેવી માન્યતાને ખોટી ઠેરવતી ઘટના
સિંહ નિષ્ણાંતો તથા વન વિભાગના જણાવ્યા પ્રમાણે આ ઘટનાને રેર ઓફ રેર કહી શકાય તેમ છે. કેમ કે, સિંહ ઘણીવાર પાણીમાં તરે છે પરંતુ શિકાર સાથે ૭૦ ફુટ પહોળાઈ અને ૪૦થી ૫૦ ફુટ ઉંડાઈ ધરાવતી નદીમાં ૪૦-૫૦ કિલોનું બકરૂ મોંમાં લઈ એક કાંઠેથી બીજા કાંઠે સિંહણ જતી હોય તેવી કદાચ આ પ્રથમ ઘટના હશે. મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે, સિંહો પાણીમાં જતા ડરે છે પરંતુ હકીકતમાં સિંહને જરૂર લાગે ત્યારે તે આસાનીથી પાણીમાં તરે છે. વન વિભાગના અધિકારીઓ તથા સિંહોના નિષ્ણાંતોએ સ્વીકાર્યું છે કે, વિરપુરની ઘટનાએ અનેક ગેરમાન્યતાઓને ખોટી ઠરાવી દીધી છે તથા સિંહ કેટલા કાબેલ હોય છે. તેનો આ ઉત્તમ દાખલો છે.