ગુજરાત પર મેઘ મહેરબાનઃ સુરત શહેર વરસાદથી પાણી પાણી, શાળાઓમાં રજા જાહેર કરાઇ

23-06-2025

Top News

છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં સૌથી વધુ 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ જિલ્લાના ૧૬૫ તાલુકાઓમાં મેઘરાજા વરસ્યા છે. ત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં સૌથી વધુ ૭ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે જૂનાગઢના મેંદરડા તાલુકામાં ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં સુરતના પલસાણા, વલસાડના કપરાડા, બનાસકાંઠાના અમીરગઢ તેમજ જૂનાગઢના વંથલી અને કેશોદ તાલુકામાં ૫ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જામનગરના કાલાવાડ, સુરતના ઉમરપાડા તથા જૂનાગઢ તાલુકા અને શહેર ઉપરાંત માણાવદર તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. સુરત જળમય થતા શહેરની શાળાઓમાં 24 જૂનના રોજ રજા જાહેર કરાઇ છે.

તદુપરાંત સુરતના કામરેજ અને સુરત શહેર, વલસાડના વાપી અને પારડી, પોરબંદરના કુતિયાણા, રાજકોટના પડધરી, જેતપુર અને ધોરાજી, નવસારીના ખેરગામ, જૂનાગઢના ભેંસાણ અને કચ્છના ગાંધીધામ તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વધુમાં, રાજ્યના ૧૦ તાલુકામાં બે ઇંચથી વધુ, ૨૬ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૧૦૬ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. 

SEOC, ગાંધીનગરના રિપોર્ટ મુજબ સમગ્ર રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૮.૬૧ ટકા જેટલો નોંધાયો છે. આજે, તા. ૨૩ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ થી ૧૦:૦૦ કલાક સુધીમાં સુરત શહેરમાં સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates