ધરતીને રસાયણોનાં ઝેરથી મુક્ત કરવા પ્રાકૃતિક ખેતી ઉત્તમ ઉપાય
13-01-2025

પ્રાકૃતિક ખેતી ખેડૂતોની સમૃદ્ધિનાં ખોલે છે દ્વાર
લાલપુર તાલુકાના મીઠોઈ ગામે તથા ખંભાળિયાના ધંધુસર ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કરતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યુ હતું કે, દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ઓછા ખર્ચે પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. પરિણામે ખેડૂતોને નહિવત ઉત્પાદન ખર્ચમાં રસાયણમુક્ત ખેત પેદાશ અને વધારે ભાવ મળે છે.
મીઠોઈ તથા ધુધુસર ગામે ખેડૂતો સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ કરી તેઓના ખેતરમાં જમીનની ફળદૂ પતા, ખર્ચ, પાકનું ઉત્પાદન, આવક વગેરે વિશે માહિતી મેળવી હતી. તેઓએ જૈવિક ખેતી, રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો ફર્ક સમજાવ્યો હતો. ખેતરોમાં રાસાયણિક દવાનો છંટકાવ કરવાથી દુર્ગંધ માત્રથી ખેડૂતોના અવસાનના કિસ્સાઓ સામે આવ્યા છે. આ રસાયણોથી પકાવવામાં આવેલું અનાજ જો આહારમાં લેવામાં આવે તો સ્વાસ્થ્યલક્ષી બીમારીઓ ઊભી થાય છે અને જમીનના 17ના પોષકતત્વો ઘટે છે. રાસાયણિક ખેતીને લીધે ગુજરાતમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ૦.૪ થી નીચે આવી ગયું છે.
પ્રાકૃતિક ખેતી સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે. ખેતી કરવા માટે માત્ર દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રની જરૂર છે. દેશી ગાય આધારિત ખેતી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલે છે. એક દેશી ગાયના ગોબર-ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં ખેતી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં ૧૩ સ્થળોએ જીવામૃત અને ઘન જીવામૃતના વેચાણની વ્યવસ્થા કરવામાં આવી છે.આ કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિક કે.પી. બારૈયા દ્વારા પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ અંગે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.