પામતેલમાં ઈમ્પોર્ટના આશરે એક લાખ ટનના ઉભા સોદા કેન્સલ કરાયાના નિર્દેશો
23-02-2025

ક્રૂડતેલ ઘટતાં વૈશ્વિક સોયાતેલના ભાવમાં પીછેહટ જોવા મળી
મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે વિવિધ ખાદ્યતેલોના ભાવ બેતરફી વધઘટ વચ્ચે ફરતા રહ્યા હતા. નવી માગ આજે ધીમી પડી હતી. જોકે દિવેલ- એરંડા બજારમાં તેજી આગળ વધી હતી. મુંબઈ દિવેલના હાજર ભાવ આજે ૧૦ કિલોદીઠ વધુ રૂ.૧૦ વધી જતાં હાજર એરંડાના ભાવ કિવ.ના વધુ રૂ.૫૦ ઉંચકાયા હતા. જોકે મુંબઈ ખોળ બજારમાં આજે ટનના ભાવ એરંડા ખોળના રૂ.પ૦ ઘટયા હતા જ્યારે સોયાખોળના ભાવ ટનના રૂ.૫૦૦ તૂટ્યા હતા. સનફલાવર ખોળના ભાવ પણ ટનના રૂ.૫૦૦ નરમ રહ્યા હતા. અન્ય ખોળો શાંત હતા.
વિશ્વબજારમાં ભાવ ઉંચા રહેતાં ઘરઆંગણે પામતેલમાં રિફાઈનિંગ માર્જિન પ્રતિકૂળ બનતાં આયાત સોદા રદ કરાયા
દરમિયાન, સોયાબીનની આવકો આજે મધ્ય-પ્રદેશમાં ૮૦ હજાર ગુણી જ્યારે મહારાષ્ટ્રમાં ૭૦ હજાર ગુણી આવી હતી. મધ્ય- પ્રદેશમાં સોયાતેલ રિફાઈન્ડના ભાવ જાતવાર રૂ.૧૩૧૮થી ૧૩૩૫ રહ્યા હતા.
સૌરાષ્ટ્ર- ગોંડલ ખાતે સિંગતેલના ભાવ રૂ.૧૪૨૫ તથા કોટન વોશ્ડના ભાવ રૂ.૧૨૯૦થી ૧૩૦૦ રહ્યા હતા. જ્યારે ત્યાં કોટન રિફાઈન્ડન સ્વભાવ રૂ.૧૩૪૦થી ૧૩૫૦ તથા પામતેલના રૂ.૧૩૭૦ અને સોયાતેલ રિફાઈન્ડના રૂ.૧૩૦૫ રહ્યા હતા. મસ્ટર્ડ સરસવની આવકો આજે રાજસ્થાનમાં ૭૦ હજાર ગુણી જ્યારે ઓલ ઈન્ડિયા આવકો ૩ લાખ ૫૦ હજાર ગુણી આવી હતી. રાજસ્થાનમાં ભાવ રૂ.૨૫ વધી રૂ.૬૩૫૦થી ૬૩૭૫ રહ્યા હતા. હઝીરા ખાતે સોયાતેલ રિફાઈન્ડના ભાવ રૂ.૧૩૩૫ તથા કોટન રિફાઈન્ડના રૂ.૧૩૪૦ રહ્યા હતા. દરમિયાન વિશ્વબજારમાં અમેરિકાના કૃષીબજારમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનના ભાવ ૬૦પોઈન્ટ તૂટ્યા હતા
જ્યારે સોયાતેલના ભાવ૪૫ પોઈન્ટ તથા સોયાખોળના ભાવ ૧૨ પોઈન્ટ ઘટ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ અઢીથી ત્રણ ટકા તૂટતાં તેના પગલે વૈશ્વિક ખાદ્યતેલોની બજાર પર નેગેટીવ અસર જોવા મળી હતી. દરમિયાન, પામતેલમાં વૈશ્વિક ભાવ તાજેતરમાં ઉંચા જતાં તથા ઘરઆંગણે રિફાઈનરીઓ માટે નેગેટીવ માર્જિન જેવી સ્થિતિ સર્જાતાં ભારતના વિવિધ રિફાઈનર્સ દ્વારા પામતેલની ઈમ્પોર્ટના આશરે એક લાખ ટનના ઉભા સોદા કેન્સલ કરાયાના નિર્દેશો મળ્યા હતા.