ગોંડલમાં રામનવમી, મહાવીર અને હનુમાન જયંતીએ કતલખાના બંધ રાખવા આવેદનપત્ર
05-04-2025

વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા રજૂઆત
ગોંડલમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા આગામી તા. ૬ ને રવિવાર રામનવમી તેમજ તા.૧૦ ને ગુરુવારે મહાવીર જયંતિ અને તા. ૧૨ ને શનિવાર હનુમાન જયંતિનાં દિવસેતમામ કતલખાના તેમજ ખુલ્લામાં રેકડીઓમાં વેચાતા માંસ, મટન, ઈડા, મચ્છી વગેરે નોનવેજના ધંધા બંધ રખાવવાની માંગણી સાથે પ્રાંત અધિકારી, મામલતદાર, નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
મોરબી સહિતનાં શહેરોની જેમ કતલખાના અને નોનવેજ| વેચાણ પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવા માગણી
જેમાં જણાવ્યું છે કે, ગોંડલમાં દર વર્ષે ભગવાન શ્રીરામનાં જન્મોત્સવ તથા મહાવીર જયંતી અને હનુમાન જયંતીની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. આવા સમયે નોનવેજનાં વેચાણ અને જીવહિંશાના કતલખાના ચાલુ રહેવાથી હિન્દુ પ્રજાની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે છે. જેથી ખાસ કરીને ગુજરાતના તમામ મહાનગરોમાં તો આવા દિવસો દરમિયાન તમામ કતલખાના તથા નોનવેજનાં વેચાણ પર પ્રતિબંધ મુકતા જાહેરનામા બહાર પાડવામાં આવે છે. એ જ રીતે ગોંડલમાં પણ એક-એક દિવસ આવા જીવહિંશાના કારોબાર બંધ રખાવવા વહેલી તકે જાહેરનામું બહાર પાડીને નગરપાલિકા અને પોલીસતંત્રએ કડક અમલવારી કરાવવી જોઈએ, એવી માંગણી સાથે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
બીજી તરફ મોરબી મહાનગર પાલિકા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને તા.૬ એપ્રિલના રોજ રામનવમી તેમજ તા.૧૦ એપ્રિલના રોજ મહાવીર જયંતી નિમિતે તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.