મરચાં તેમજ જીરૂના ભાવમાં 20થી 30 ટકાનો ઘટાડો! વરિયાળીમાં 40 ટકા વધ્યા
28-03-2025

માધુપુરા માર્કેટ સહિત બજારોમાં નવો પાક આવતા ઘરાકી ખુલી
ભારતીય મસાલાના સુગંધ અને સ્વાદ બ્રિટિશ, ડચ, ફ્રેન્ચ, પોર્ટુગીસ જેવા યુરોપિયન શાસકોને પણ અહીં ખેંચી લાવ્યા હતા. ત્યારે દુનિયાભરમાં વખણાતા ભારતના મસાલાનો નવો પાક બજારમાં આવતા અમદાવાદના માધુપુરા માર્કેક્ટસહિત શહેરની કરિયાણીની દુકાનોમાં ગ્રાહકોની ભીડ ઉમટી છે. આસમાન આંબી રહેલી મોંઘવારી વચ્ચે આ વર્ષે મરચાંના ભાવમાં વીસેક ટકા, જ્યારે જીરૂના ભાવમાં ૨૫થી ૩૦ ટકાનો ઘટાડો થતા ગૃહિણીઓને આંશિક રાહત મળી છે. જો કે સામે વરિયાણીના ભાવમાં ચાલીસેક ટકા વધારો નોંધાયો છે.
ભેળસેળના ભયથી દળેલાને બદલે ફરી આખા મસાલાની ખરીદી તરફ વળી રહેલા લોકો
હોળી બાદથી મરચાં, હળદર, ધાણાં, જીરૂ, વરિયાળી વગેરેનો નવો પાકબજારમાં આવતા લોકોએ પરંપરાગત રીતે બાર માસ માટે મસાલા ભરવાનું શરૂ કરી દીધું છે. આ વર્ષે મરચાંના ભાવમાં કિલો દીઠ રૂ. ૭૦થી ૧૨૦ એટલે વીસેક ટકાનો ઘટાડો થયો છે. હાલ વિવિધ પ્રકારના મરચાં બજારમાં રૂ. ૨૮૦થી ૫૫૦ પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. જ્યારે જીરૂના ભાવમાં પણ ગત વર્ષ કરતા કિલોએ રૂ. ૧૦૦થી ૧૫૦ એટલે ૨૫થી ૩૦ ટકાનો ઘટાડો થયો છે. જેથી જીરૂનો ભાવ ૨૮૦થી ૩૦૦ રૂપિયે કિલો બોલાઈ રહ્યો છે. આ અંગે માધુપુરામાર્કેટના વેપારીઓ જણાવે છે કે, ‘છેલ્લાં બેવર્ષમાં મરચાં અને જીરુંના ભાવ ૮૦૦થી ઉતરી ૪૦૦એ પહોંચી ગયા છે. મતલબ આશરે પ૦ ટકાનોઘટાડો થતા ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
બીજી બાજુ હળદર અને ધાણાંના ભાવમાં દસ-વીસ રૂપિયાનો સામાન્ય ઘટાડો થયો છે. સામે પક્ષે વરિયાળીના ભાવ ચાલીસેક ટકા વધી ગયાછે. ગતવર્ષે ૨૮૦થી ૩૦૦એ વેચાતી વરિયાળી આ વખત ૪૪૦થી ૪૮૦ રૂપિયે કિલો વેચાઈ રહી છે. ઝડપી જીવનશૈલીના લીધે પાવડર્ડ મસાલાની ખરીદી કરતા શહેરીજનો ભેળસેળના ભયથી હવે છેલ્લાં એક-બે વર્ષથી ફરી આખા મસાલાની ખરીદી તરફ વળી રહ્યા હોવાનું વેપારીઓ જણાવે છે. અગાઉની જેમ હવે લોકો ફરી ઘંટીએ ઉભા રહીને નજર સામે મસાલા દળાવવા લાગ્યા છે.
કયા મસાલા ક્યાંથી આવે છે?
અમદાવાદના બજારોમાં સૌરાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્ર પ્રદેશ, કર્ણાટકથી મરચાંનો જથ્થો આવે છે. જ્યારે હળદર કર્ણાટક અને વિસનગરથી, ધાણાં મધ્યપ્રદેશ અને સૌરાષ્ટ્ર, જીરૂ રાજસ્થાન તથા સૌરાષ્ટ્ર તેમજ વરિયાળી આબુરોડ અને લખનૌઉથી વેપારીઓ લાવે છે. આ સિવાય કેરળ, વિએતનામ, નાઈજેરિઆથી લવિંગ, કાળી મરી જેવા ગરમ મસાલા તેમજ અફધાનિસ્તાનથી હિંગ લાવવામાં આવે છે. આજકાલ ભારતીયોને વિવિધ દેશોની ક્યુસિનનો ચસકો લાગતા હવે વિદેશી મસાલાની માંગ પણ વધી રહી છે.