રાજ્યમાં ચણા, રાયડાના ટેકાના ભાવની ખરીદી માટે નોંધણી શરૂ
19-02-2025

૯ માર્ચ સુધી થઇ શકશે રજિસ્ટ્રેશન
ધરતીપુત્રોને તેમનાં ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં ચણા અને રાયડાની ટેકાના ભાવની ખરીદી કરવામાં આવનાર છે. જે માટે નોંધણી પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે.
ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો પર નોંધણીની વ્યવસ્થા કરાઈ, ૧૪ માર્ચથી ખરીદી માટેનો અપાયો નિર્દેશ
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫, માટે ચણાના પાક માટે રૂા.૫,૬૫૦ પ્રતિ ક્વીન્ટલ અને રાયડાના પાક માટે રૂા.૫,૯૫૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ સરકારની પીએમ આશા યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજ્યમાં ચણા અને રાયડા પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે રાજ્યના તમામ જિલ્લાઓમાં ચણા અને રાયડાની ટેકાના ભાવની ખરીદી માટે તા.૧૮ ફેબ્રુઆરીથી તા.૯ માર્ચ એટલે કે ૨૦ દિવસ સુધી નોંધણી થઇ શકશે.
જે માટે ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વી.સી.ઈ. મારફતે વિનામૂલ્યે નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધણી માટેનો સૂચવાયેલો સમયગાળો પૂર્ણ થયા બાદ વિવિધ ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં ચણા અને રાયડાની ખરીદી તા.૧૪ માર્ચથી કરવાનું સૂચિત કરાયું છે. સરકાર દ્વારા ચણા અને રાયડાના પાકની ખરીદી માટે આગોતરું આયોજન પણ હાથ ધરાયું છે.