ભાવનગર જિલ્લા સહિત દરિયાકાંઠાની જમીનમાં ખારાશ વધી, ખેતીને નુકસાન
20-01-2025

ટ્યૂબવેલનું ખોદકામ, ભૂગર્ભજળ, ઔદ્યોગિકીકરણ કારણભૂત
એક તરફ, દરિયો ગુજરાતની જમીનને ગળી રહ્યો છે ત્યારે બીજી તરફ, ભાવનગર જિલ્લા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોની જમીનમાં ખારાશનું પ્રમાણ વધી રહ્યુ છે. વધતી જતી ખારાશને કારણે ખેતીને વ્યાપકપણે અસર પહોંચી રહી છે. આ ઉપરાંત માનવ સ્વાસ્થને પણ | નુકશાન થઈ રહ્યું છે. ગુજરાતમાં અત્યારે કુલ મળીને ૨.૨૩ મિલિયન હેક્ટર જમીન ખારાશયુક્ત છે.
એક રિપોર્ટ અનુસાર, રાજ્યમાં ભૂગર્ભજળનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. વધુ પડતાં ઉપયોગને કારણે ભૂગર્ભજળનું સ્તર પણ ઉંડે જઈ રહ્યું છે. ટ્યુબવેલનો આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ટ્યુબવેલના ખોદકામ માટે સરકારની મંજૂરી લેવાના નિયમનો ઉલાળિયો થયો છે.આ બધાય કારણો જમીનની વધતી ખારાશ માટે જવાબદાર પરિબળો મનાઈ રહ્યાં છે.
ખારાશથી જુવાર, કપાસ, ડુંગળી, મગફળીના પાકને અસર
ભાવનગર જિલ્લા ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં જમીનમાં ખારાશનું પ્રમાણ વધતાં ખેતીને અસર થઈ છે. ખેડૂતો કહી રહ્યાં છેકે, ડુંગળીનો વિકાસ થતો નથી. જુવાર, મગફળી ઉપરાંત કપાસના પાકનું ઉત્પાદન ઘટયુ છે.
ગુજરાતમાં ૨.૨૩ મિલિયન હેક્ટર જમીન ખારાશયુક્ત
પાક ઉત્પાદનમાં ૩૦-૪૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. ખેત ઉત્પાદન ઘટતાં ખેડૂતોની આજીવિકાને અસર પહોંચી છે. ખારાશને લીધે માત્ર ખેતીને જ નહીં, માનવ સ્વાસ્થ્યને પણ નુકશાન થઈ રહ્યુ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ચામડી, પેટ, કિડની, પથરીના દર્દીઓમાં વધારો થયો છે. ખાસ કરીને ફલોરોસિસ-આંતરડાના રોગોએ માઝા મૂકી છે.
જમીનની ખારાશથી માત્ર ખેતીને જ નહી,માનવ સ્વાસ્થયને પણ નુકશાન: પથરી, કિડની, દાંત, ચામડીના રોગો વધ્યા
અત્યારે ભારતમાં ઉત્તરપ્રદેશમાં ૧.૩૭ મિલિયન હેક્ટર, મહારાષ્ટ્રમાં ૦.૬૧ મિલિયન હેક્ટર, પશ્ચિમ બંગાળમાં ૦.૪૪ મિલિયન હેક્ટર અને રાજસ્થાનમાં ૦.૩૮ મિલિયન હેક્ટર જમીન ખારાશયુક્ત છે. ગુજરાત સરકાર પણ જમીનમાં ખારાશનું પ્રમાણ અટકે તે દિશામાં પ્રયત્નશીલ છે ત્યારે ગુજરાતમાં મેંન્ચુવ્સના વૃક્ષોનો વિસ્તાર પણ ચિંતાજનકહદે ઘટ્યો છે. આમ, જમીનની ખારાશ દરિયાકાંઠાના ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે.