ખેડૂતો વાવેતર શરુ કરે તે પહેલા જ વર્ષ 2025-26 માટે ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર
1 દિવસ પહેલા

ટેકાના ભાવમાં રૂ.69 થી 596 પ્રતિ ક્વિ. નો વધારો કરાયો
ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ ૨૦૨૫-૨૬માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ રૂ. ૬૯ થી રૂ. ૫૯૬ પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.
રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર, જુવાર, બાજરી, રાગી, મકાઈ, તુવેર, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે.
ખૂબ જ ટૂંકા ગાળામાં ટેકાના ભાવોની જાહેરાત કરવા બદલ તેમજ ખરીફ પાકોના ટેકાના ભાવમાં યોગ્ય વધારો કરવા બદલ કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગુજરાત સરકાર તેમજ રાજ્યના ખેડૂતો વતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ખેડૂતોના હિત માટે સતત માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે. વર્ષ ૨૦૨૫-૨૬માં ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ મગફળી પાક માટે રૂ. ૭,૨૬૩ પ્રતિ ક્વિ., કપાસ (લંબતારી) માટે રૂ. ૮,૧૧૦ પ્રતિ ક્વિ., ડાંગર માટે રૂ. ૨,૩૬૯ પ્રતિ ક્વિ., જુવાર માટે રૂ. ૩,૬૯૯ પ્રતિ ક્વિ., બાજરી માટે રૂ. ૨,૭૭૫ પ્રતિ ક્વિ.,રાગી માટે રૂ. ૪,૮૮૬ પ્રતિ ક્વિ., મકાઈ માટે રૂ. ૨,૪૦૦ પ્રતિ ક્વિ., તુવેર માટે રૂ. ૮,૦૦૦ પ્રતિ ક્વિ., મગ માટે રૂ. ૮,૭૬૮ પ્રતિ ક્વિ., અડદ માટે રૂ. ૭,૮૦૦ પ્રતિ ક્વિ., સોયાબીન માટે રૂ. ૫,૩૨૮ પ્રતિ ક્વિ. તેમજ તલ પાક માટે રૂ. ૯,૮૪૬ પ્રતિ ક્વિ. ભાવ જાહેર કરવામાં આવ્યો છે.
ગત વર્ષની સરખામણીએ રાગી, કપાસ (લંબતારી) અને તલના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ સૌથી વધુ ક્રમશ: રૂ. ૫૯૬, રૂ. ૫૮૯ અને રૂ. ૫૭૯નો વધારો કરાયો છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્ય પાક મગફળીના ટેકાના ભાવમાં પણ રૂ. ૪૮૦ પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.