મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે
03-02-2025

ગૌશાળાઓ તથા પાંજરાપોળના સંચાલકો માટે સમાચાર
જામનગર જિલ્લાની ગૌશાળાઓ તથા પાંજરાપોળના સંચાલકોને નાયબ પશુપાલન નિયામકશ્રી જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા તથા પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે આઈ-ખેડૂત પોર્ટલ પર મૂકવામાં આવેલ છે.
યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો Website: http://gauseva.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. જાન્યુઆરી-૨૦૨૫ થી માર્ચ-૨૦૨૫ના તબક્કાની સહાય માટે તારીખ ૦૧-૦૨-૨૦૨૫ થી ૧૫-૦૨-૨૦૨૫ દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી લેવાની રહેશે.ઓનલાઇન અરજી ન કરેલ લાભાર્થી સંસ્થાને તે તબક્કાની સહાય મળવાપાત્ર રહેશે નહીં.
ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ આઉટ સાથે બિડાણમાં રાખવાના જરૂરી સાધનિક કાગળો બિડાણ કરી અચૂકપણે અરજી કર્યાના દિન-૨૧માં નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયતની કચેરી,જામનગરને રજૂ કરવાના રહેશે. ઓનલાઈન કરેલ અરજી તથા અરજીમાં બીડાણમાં જણાવેલ સાધનિક કાગળો સાથે જો લાભાર્થી દ્વારા નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પંચાયત ખાતે દિન-૨૧માં રજૂ ન કરે તો તે અરજી રદ કરવા પાત્ર રહેશે.