સાબરકાંઠા અને અરવલ્લીના સાત તાલુકામાં કમોસમી વરસાદ
28-12-2024

ખેડબ્રહ્માના દામાવાસમાં કરા પડ્યા
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સપ્તાહથી ધૂમ્મસભર્યુ વાતાવરણ સર્જાયું છે. ભર શિયાળે ચોમાસુ માહોલ સર્જાયો છે હિંતનગર સહિત સાત તાલુકામાં સાત મીમી સુધી વરસાદ પડયો હતો. ખેડબ્રહ્માના દામાવાસમાં કરા પડયા હતા.જ્યારે કમોસમી માવઠાના કારણે અન્ય રવિપાકમાં નુકસાનની દહેશત ઉભી થઈ છે.
જિલ્લામાં બટાકા, ઘઉં, જીરૂ, રાયડો, ચણા સહિતના રવી પાક પર તોળાતો ખતરો
સાબરકાંઠામાં ગતરાત્રિએ અનેક, વિસ્તારોમાં કમોસમી માવઠાના વાદળો અષાઢી માહોલ જામ્યો હોય તે રીતે હિંમતનગર, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર અને વિજયનગર તાલુકાના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હિંમતનગર, ગાંભોઈ, ચાંદરણી, ચાંપલાનાર, વાવડી, ગાંધીપુરા, મોરડુંગરા, રૂપાલકંપા, બાવસર, હાથરોલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે.ખેડાબ્રહ્માના દામાવાસ પંથકમાં રાત્રે કરા સાથે વરસાદ પડ્યો હતો.
અરવલ્લીના ભિલોડા અને મેઘરજમાં ૨ મીમી અને બાયડમાં ૧ મીમી વરસાદ નોંધાયો હતો. જયારે મોડાસામાં પણ વરસાદ પડતા કેટલાક સ્થળોએ પાણી વહેતા થયા હતા. આ વરસાદ અને વાતાવરણના માહોલના કારણે જિલ્લામાં ૧.૪૮ લાખ હેક્ટરમાં થયેલા ઘઉં, બટાટા, મકાઈ, શાકભાજી અને બાગાયતી પાકોમાં નુકસાનની દહેશત સેવાઈ રહી છે.