સૌરાષ્ટમાં વાદળછાયા વાતાવરણમાં વધુ ત્રણ ઇંચ સુધી કમોસમી વરસાદ

12-05-2025

Top News

હવે ખમૈયા કરો, માવઠાં મહારાજ'ની ખેડૂતોની પ્રાર્થના

સૌરાષ્ટ્રમાં આજે એક સપ્તાહ પૂર્ણ થવા છતાં વાતાવરવામાં પલટો પથાવત રહ્યો છે. આજે રવિવારે પણ વાદળછાંયા વાતાવરણ વચ્ચે વધુ ત્રણ ઈચ સુધીનો કમોસમી વરસાદ વરસી ગયો હતો. પરિણામે હવે ધરતીપુત્રોને ઉનાળુ પાકમાં નુકસાન થવા લાગતા ખમૈયા કરો, માવઠાં મહારાજની પ્રાર્થના કરવા લાગ્યા છે. આજે હવામાન વિભાગે પણ હજુ બે દિવસ કમોસમી વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે.

કલ્યાણપુરમાં ધોધમાર ત્રણ ઇંચ અને માળિયા હાટીનામાં બે ઇંચ, જામજોધપુર, માણાવદર, ધારીમાં દોઢ તો લાલપુરમાં એક ઈંચ માવઠાંથી માર્ગો પર પાણી ફરી વળ્યાં

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, રાજોડું સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ૩૦-૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની સાથે જોરદાર ઝાપટાથી માંડીને ૩ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. આ માટે આવતીકાલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાદમાં તા. ૧૩થી વરસાદનું જોર ઘટી જશે અને મંગળવારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં માવઠું વરસવાની આગાહી કરાઇ છે

તેજ પવન સાથે વાઝડી જેવા આ વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં. અને કેટલાક સ્થળોએ નાની-મોટી નુકસાની પણ થવા પામી હતી. ખંભાળિયા તાલુકામાં પણ બપોરથી સાંજ સુધી અવિરત રીતે વરસાદી વાદળોની જમાવટ વચ્ચે હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતાં. આ સાથે કલ્યાણપુરમાં ૧૧૨ મિલીમીટર ભાણવડમાં ૯૯ મિલીમીટર અને ખંભાળિયામાં ૭૪ મિલીમીટર કમોસમી વરસાદ નોંધાયો છે. આ પરિસ્થિતિમાં અનેક ખેડૂતોને નાની-મોટી નુકસાની થવા પામી છે.

ગીર સોમનાથ જિલ્લામાં આજે છૂટાછવાયા ઝાપટા વચ્ચે તાલાલા પંથકમાં સવારે થોડી વરાપ બાદ બપોરના સમયે તાલાલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો, જે અડધાથી પોલા ઇંચ જેટલો ખાબકતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં હતાં. ગ્રામ્ય વિસ્તારમાં વધુ વરસાદથી અનેક નાળા-વૉકળામાં નવા નીર વહેતા થતાં નદીઓમાં પૂર આવવા લાગ્યા છે. અવિરત છ દિવસથી પડતાં કમોસમી વરસાદથી ત્રાહિમામ ખેડૂતો દ્વારા મેઘરાજા હવે ખમૈયા કરે તેવી ઠેર ઠેર પ્રાર્થના કરવામાં આવી રહી છે.

અમરેલી જિલ્લામાં આજે ધારીમાં દોઢ ઇંચ, લાઠીમાં પોણો ઈંચ અને બાબરામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. લાઠી પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વરસાદ વરસતા શેરીઓમાં પાણી વહેતા થયા હતાં. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલા શહેરમાં અને આજુબાજુના ગામોમાં વરસાદ વરસ્યો હતો. અમરેલી શહેરમાં જોરદાર ઝાપટું પડયું હતું. ધારીના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. ચલાલા સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.

બગસરા પંથકમાં સાપર, સુડાવડ, લુધીયા સહિતના વિસ્તારમાં વરસાદ પડયો હતો.

વડિયા પંથકમાં વડીયા, દેવગામ, દડવા, માયાપાદર, હનુમાન ખીજડીયા, ચોકી સહિત વરસાદ વરસ્યો હતો. નાના ભંડારીયાની નદીમાં પૂર આવ્યું હતું અને અમરેલીમાં વૃક્ષ તૂટી પડ્યું હતું. જામનગર જિલ્લામાં આજે બપોર પછી જામજોધપુરમાં ૪૦ મીમી અને લાલપુરમાં ૨૫ મીમી કમોસમી વરસાદ નોધાયો છે. ખાસ કરીને જામજોધપુરના સડોદર સહિતના આસપાસનાં ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડી જતાં કેટલાક નદી-નાળામાં પૂર આવ્યા હતાં.

તો કેટલાક ખેડૂતનાં ખેતરોમાં પાણી ભરાયા હતાં. લાલપુર પંથકમાં પણ આવી સ્થિતિ જોવા મળી હતી. અને લાલપુરની ઢાંઢર નદીમાં પાણી આવ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં આજે પણ માવઠાનો માહોલ યથાવત રહ્યો હતો. આજે રવિવારે માળિયા હાટીનામાં ધોધમાર બે ઇંચ અને માણાવદરમાં દોઢ ઇંચ તથા વિસાવદરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. કેશોદમાં જોરદાર ઝાપટાથી માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં.

એ જ રીતે રાજકોટ જિલ્લામાં આજે છૂટાછવાયા ઝાપટાં વચ્ચે લોધીકામાં પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો. પોરબંદર જિલ્લામાં આજે વાદળછાંયા વાતાવરણ વચ્ચે પોરબંદર અને રાણાવાવમાં ૪-૫ મીમીનું જોરદાર ઝાપટું પડયું હતું.

GET FIRST UPDATE

Get the news in front line by Your email subscribe our latest updates