ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ ચાલુ રહેશે
19-03-2025

20 દિવસ સુધી નર્મદા કેનાલનું પાણી અપાશે
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં નર્મદાની કેનાલમાં સફાઈના કારણે પાણી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે ખેડુતોના પાકને મોટાપાયે નુકશાની જવાની ભીતી સેવાઈ રહી છે ત્યારે ખેડુતો અને રાજકીય આગેવાનોની રજૂઆતને પગલે નર્મદા વિભાગ દ્વારા વલ્લભીપુર બ્રાન્ચ કેનાલને આગામી ૨૦ દિવસ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવતા લીંબડી તેમજ લખતર તાલુકાના અનેક ગામોના ખેડુતોમાં રાહત જોવા મળી છે.
કેનાલના પાણીને લીધે અજમો, વરીયાળી સહિતના પાકને ફાયદો, અનેક ગામના ખેડૂતોને રાહત થશે.
આ અંગે મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ઉનાળા દરમ્યાન નર્મદાની મુખ્ય અને માઈનોર કેનાલમાં પાણી બંધ કરી તેની સફાઈ કરવામાં આવતી હોય છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ગત તા.૧૫ માર્ચથી નર્મદાની કેનાલોમાં પાણી બંધ કરવામાં આવ્યું છે જેના કારણે જીલ્લાના અનેક તાલુકાના ખેડુતોને સીંચાઈ માટે ખરા સમયે પાણી ન મળતા ઉભા પાકને નુકશાન જવાની ભીતી સેવાઈ રહી છે
જેમાં અજમો, વરિયાળી સહિતના પાકને એક કે બે પાણની જરૂર હતી તેવા સમયે જ કેનાલમાં પાણીબંપ કરી દેતા ખેડૂતોને મોટાપાયે નુકશાન પહોંચી રહ્યું છે જે મામલે દસાડા તાલુકાના સ્થાનીક ધારાસભ્ય સહિત સાત થી આઠ ગામોના ખેડુતો અને સરપંચોએ ગાંધીનગર ખાતે નર્મદા વિભાગના મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી પરિણામે વલ્લભીપુર બ્રાન્ચ કેનાલ આગામી ૨૦ દિવસ પાણી શરૂ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.