અમરેલી જિલ્લામાં બે કિસ્સા: ખેડૂત પર સિંહનો હુમલો, જીવનાં જોખમે યુવકે સિંહને બચાવ્યો
09-01-2025

લીલીયા નજીક રેલ્વે ટ્રેક પરથી શ્વાનને હડસેલતા હોય એમ સિંહને હટાવી રહેલા યુવાનનો વીડિયો વાયરલ
અમરેલી જિલ્લામાં સિંહો અને દીપડા હવે લોકોના ઘરોમાં, ગામની બજારોમાં ફરી રહ્યા છે. અને ગીરના રાની પશુઓને જાણે ગામડાઓ ગમી ગયા હોય. તેમ અવાર નવાર ગામડાઓમાં આવી ચડવાની ઘટનાઓ વધી છે. આ સાથે જ લોકો પર હુમલાની ઘટનાઓમાં પણ ખાસો વધારો નોંધાયો છે. હવે ધારીના દલખાણીયા ગામે ખેડૂત પર સિંહે હુમલો કરતા ઈજાઓ થઈ હતી અને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ લીલીયા નજીક જ ટૂંક પરથી એક યુવકે સિંહને ખસેડી જીવ બચાવ્યો હતો.
દલખાણીયા ગામે ખૂંખાર સિંહને પકડવા પાંજરા મૂકાયા
પ્રાપ્ત માહિતી પ્રમાણે, ધારી તાલુકાના ગીરના બોર્ડર વિસ્તારમાં આવેલ દલખાણીયા ગામના ખેતર સુધી સિંહ પહોંચ્યો હતો અને ખેતરમાં પાણી વાળી રહેલા દલખાણીયા ગામના રહેવાસી બટુકભાઈ યાદવ નામના ખેડૂત પર અચાનક જ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ખેડૂતને પગના ભાગે ઈજાઓ થવાને કારણે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે ધારી ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બાદ વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતેરિફર કરવામાં આવ્યા હતા.આ ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી તાત્કાલિક પીંજરા મૂકી માનવ પર હુમલો કરનાર સિંહને પકડવા માટે ક્વાયત હાથ ધરવામાં આવી હતી.
તો બીજી તરફ લીલીયા - દામનગર સેક્શનના ફાટક નંબર -૩૧ નજીક એક સિંહ રેલવે ટ્રેક પર આવી ચડયો હતો. પરંતુ અને ટ્રેન આવે તે પહેલા જ સિંહને એક વ્યક્તિ દ્વારા રેલવે લાઇનથી દૂર ખસેડવામાં આવ્યો હતો. સિંહને દૂર હટાવવા જાણે શ્વાનને હટાવી રહ્યો હોય. તેમ આ વ્યક્તિ જોવા મળ્યો હતો.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સિંહની ઉમર ૯ થી ૧૨ વર્ષની હોવાનું જાણવા મળી રહ્યું છે. હરીપર વિસ્તારમાં રેલવે સેવક દ્વા સિંહને ટ્રેકની દૂર ખસેડવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.